લોકડાઉન : દિલ્હીમાં દુકાનો ખુલશે, પરંતુ મોલ બંધ રહેશે, દિલ્હી સરકાર નિર્ણય
રખેવાળ, નવી દિલ્હી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પડાયેલા ધારા-ધોરણો મુજબ દિલ્હીમાં પણ જરૂરી વસ્તુઓની દુકાનો ખુલશે. સોસાયટીમાં દુકાનો ખુલી શકશે. પરંતુ કન્ટેનમેન્ટ ઝોનમાં દુકાનો નહીં ખુલે. માર્કેટ કે મોલ પણ ખોલવાની પરવાનગી હાલ અપાઈ નથી. દિલ્હીમાં કોરોના વાઈરસની સ્થિતિ અંગે ચર્ચા કરતા કેજરીવાલે વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા દિલ્હીવાસીઓને સંબોધન કર્યું હતું.
ત્રણ મે સુધી કેન્દ્ર સરકારે લોકડાઉનની જાહેરાત કરી હતી. હવે ત્રણ મે પછી કેન્દ્ર સરકાર જે નિર્ણય લેશે તેના આધારે દિલ્હી સરકાર પણ નિર્ણય કરશે.
તેમણે સતત બીજા દિવસે કોરોનામાં સાજા થઈ ગયેલા દર્દીઓને પ્લાઝમા આપવાની વાત કરે છે. તેમણે કહ્યું હતું કે દિલ્હીની હોસ્પિટલમાં પ્લાઝમા થેરેપીની મદદ થી દર્દીની સારવાર થઈ રહી છે. હું જાતે દરેક દર્દી ઉપર નજર રાખી રહ્યો છું.કાલે જે દર્દીની સ્થિતિ બગડી રહી હતી, ત્યારે આ થેરેપીથી આજે તેની સ્થિતિમાં સુધારો છે. જે દર્દીઓ સાજા થઈને ઘરે જઈ રહ્યા છે તેમને અમે બીજાનો જીવ બચાવવા માટે પ્લાઝમાં ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.
તેમણે કહ્યું હતું કે આપણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. કોરોના સંક્રમણને ઓછુ કરવા માટે અમે પ્રયાસો ચાલું રાખીશું. આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે. મુસ્લિમ વ્યક્તિના પ્લાઝમા હિન્દુ દર્દીની સારવારમાં વપરાય છે. આવી જ રીતે કોઈ હિન્દુ વ્યક્તિના પ્લાઝમાથી મુસ્લિમ દર્દીની સારવાર થાય છે. દિલ્હીમાં કોરોનાના ૨૬૨૫ કેસ નોંધાયા છે અને ૫૪ લોકોએ જીવ ગુમાવ્યો છે.