સોનાની ખાણમાં ભૂસ્ખલન, 11 લોકોના મોત; 20 લોકો ગુમ
ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર એક ગેરકાયદે સોનાની ખાણમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. અધિકારીઓએ સોમવારે આ ઘટનાની જાણકારી આપી છે. શોધ અને બચાવના પ્રવક્તા અફીફુદ્દીન ઈલાહુદેએ જણાવ્યું હતું કે, રવિવારે, પ્રાંતના દૂરના બોન બોલાંગોમાં એક નાની સોનાની ખાણમાં આશરે 33 ગ્રામવાસીઓ ખાડો ખોદી રહ્યા હતા, ત્યારે આસપાસની ટેકરીઓમાંથી અનેક ટન માટી તેમના પર પડી હતી.
ગુમ થયેલા લોકોની શોધ
એલાહુડે જણાવ્યું હતું કે બચાવકર્મીઓએ રવિવારે બે ઘાયલ લોકોને બચાવ્યા હતા અને સોમવાર સુધીમાં 11 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યુ ટીમ હજુ પણ 20 અન્ય લોકોને શોધી રહી છે જેઓ ગુમ થયાના અહેવાલ છે. ઇન્ડોનેશિયામાં ગેરકાયદેસર ખાણકામ મોટા પાયે થાય છે, જે હજારો લોકોને આજીવિકા પૂરી પાડે છે. આ લોકો ગંભીર ઈજા અથવા મૃત્યુના ઉચ્ચ જોખમ સાથેની પરિસ્થિતિઓમાં કામ કરે છે.
બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે
અધિકારીઓનું કહેવું છે કે, ‘અમે ગુમ થયેલા લોકોને શોધવા માટે નેશનલ રેસ્ક્યુ ટીમ, પોલીસ અને સેનાના જવાનો સહિત 164 જવાનોને તૈનાત કર્યા છે. તે જ સમયે, બચાવકર્મીઓએ ભૂસ્ખલન સ્થળ સુધી પહોંચવા માટે લગભગ 20 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. અહીં રસ્તા પર કાદવ અને સતત વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.