જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોની મોટી સફળતા, 72 કલાકમાં 12 આતંકીઓને મોતના ઘાટ ઉતાર્યા
જમ્મુ કાશ્મીરની અંદર આતંકીઓ સામે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. છેલલા 72 કલાકમાં સુરક્ષાદળોએ 12 આતંકીઓને ઠાર માર્યા છે. આ તમામ આતંકીઓ ચાર અલગ અલગ ઓપરેશનમાં માર્યા ગયા છે. ત્રાલ અને શોપિયાં 7 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. આ જાણકારી જમ્મુ કાશ્મીર પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે બિજબેહરામાં ઓપરેશન પુરુ થયું છે. છેલ્લા 72 કલાકની અંદર આર અલગ અલગ ઓપરેશનમાં કુલ 12 આતંકોને ઠાર કર્યા છે. જેમાં ત્રાલ અને શોપિયાંમાં માર્યા ગયેલા 7 આતંકવાદી, હાદીપુરામાં માર્યા ગયેલા અલબદ્રના 3 આતંકીઓ અને હવે બિજબેહરામાં માર્યા ગયેલા લશ્કર એ તોયબાના 2 આતંકીઓ સામેલ છે.
જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના હાદિપુરામાં થયેલા એક ઘર્ષણ દરમિયાન ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. જેમની પાસેથી એક રાઇફલ અને 1 પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે નવા ભરતી થયેલા એક આતંકીને આત્મસમર્પણ કરાવવા માટે પોલીસે અને તેના માતા પિતાએ ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ સાથી આતંકીઓએ તેને આત્મસમર્પણ ના કરવા દીધું.
આ પહેલા શનિવારે સાંજે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ અને શોપિયાં જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એક બાદ એક એમ કુલ બે ઘર્ષણ થયા હતા. પહેલા હાદીપોરામાં અને ત્યારબાદ અનંતનાગ જિલ્લાના સેમથાન બિજબેહરા વિસ્તારમાં ઘર્ષણ થયું હતું. આ બંને ઓપરેશન હાલ પુરા થઇ ગયા છે.