જયરામ: જરૃર પડશે તો કડક નિર્ણયો લેવાશે, ગેહલોત-પાયલોટ લડાઇ અંગે
રાજસ્થાનમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને સચિન પાયલોટની વચ્ચેની દરાર પક્ષના વરિષ્ઠ નેતાઓ માટે ચિંતાનો વિષય બની રહી છે. ભારત જોડો યાત્રામાં પણ તેની અસર સ્પષ્ટ જોઇ શકાય છે. રવિવારે ઇન્દોરમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા જયરામ રમેશની વાતોમાં પણ આ અંગેની ચિંતા સ્પષ્ટ દેખાઇ આવતી હતી.
ગેહલોત અને પાયલોટની વચ્ચે ચાલી રહેલા શબ્દોના યુદ્ધની વચ્ચે જયરામ રમેશે જણાવ્યું હતું કે પક્ષ માટે સંગઠન સર્વોપરી છે. તેની મજબૂતી માટે જરૃર પડવા પર કઠોર નિર્ણય લેવાથી પણ પાછળ હટવામાં આવશે નહીં.
રાહુલ ગાંધીના નેતૃત્ત્વવાળી ભારત જોડો યાત્રાના ઇન્દોરમાં રોકાણ દરમિયાન રમેશે પત્રકારોને જણાવ્યું હતું કે અમારા માટે સંગઠન સર્વોપરિ છે. રાજસ્થાનના મુદ્દાનો ઉકેલ એવી રીતે ઉકેલવામાં આવશે જેના કારણે અમારું સંગઠન મજબૂત થશે.
આ માટે જો અમને કઠોર નિર્ણય લેવાની ફરજ પડશે તો પણ અમે લઇશું. જો ગેહલોત અને પાયલોટ જૂથોની વચ્ચે સમાધાન શક્ય હશે તો સમજૂતી કરાવવામાં આવશે.
ગેહલોત-પાયલોટની દરાર અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતૃત્ત્વ રાજસ્થાનના મુદ્દાનો યોગ્ય ઉકેલ મેળવવાના પ્રયત્નો કરી રહી છે. ે
કોંગ્રેસના મીડિયા વિભાગના પ્રભારી રમેશે જણાવ્યું હતું કે હું હા આ મુૂદ્દાના ઉકેલની કોઇ સમય મર્યાદા જણાવી શકું તેમ નથી. આ મુદ્દાના ઉકેલની સમય મર્યાદા ફક્ત કોંગ્રેસ નેતૃત્ત્વ નક્કી કરશે. તેમણે ફરી એક વખત જણાવ્યું હતું કે કોંગ્રેસને ગેહલોત અને પાયલોટ બંનેની જરૃર છે.
ગેહલોતે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પાયલોટને ગદ્દાર ગણાવી કહ્યું હતું કે તેમણે ૨૦૨૦માં કોંગ્રેસની વિરુદ્ધ બળવો કર્યો હતો અને ગેહલોત નેતૃત્ત્વવાળી સરકારને પાડી દેવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી તેમને મુખ્યપ્રધાન બનાવવા ન જોઇએ. રમેશે જણાવ્યું હતું કે તેમણે આ ઇન્ટરવ્યુમાં કેટલાક શબ્દોનો ઉપયોગ કરવો જોઇતો ન હતો.