![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/05/modi-putin.jpg)
USની ચેતવણીઓને ભારતે માળવે મૂકી, રશિયા સાથે કર્યો વધુ એક મોટો કરાર
યુક્રેન પર રશિયાના હુમલાની વચ્ચે ખાતરની વધતી કિંમતોએ ભારત જેવા કૃષિ પ્રધાન દેશની મુશ્કેલીઓ વધારી દીધી છે. રશિયા વિશ્વમાં ખાતરનું મોટું ઉત્પાદક છે અને પ્રતિબંધોના કારણે હવે તે વૈશ્વિક બજારમાં ખાતર નથી મોકલી શકી રહ્યું જેના કારણે ખાતરની કિંમતોમાં વધારો થયો છે.
આયાત કરારને અંતિમ રૂપ આપવામાં આવ્યું
આ દરમિયાન ભારત માટે રાહતના મોટા સમાચાર એ છે કે, ભારતે રશિયા પાસેથી ખાતરના એક મોટા પૂરવઠા માટેની અંતિમ મંજૂરી આપી દીધી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, વર્ષો સુધી ચાલનારા આ આયાત કરારની વાતચીતને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. યુક્રેન પર હુમલાને લઇને રશિયા પર પ્રતિબંધ લાગ્યો છે, જેના કારણે તે ડૉલરમાં વેપાર નથી કરી શકી રહ્યું.
વેપાર માટે વિનિમય વ્યવસ્થા અપનાવી
રશિયા સાથે વેપારને લઇને અમેરિકાએ અનેકવાર ભારતને પણ ચેતવવાનો પ્રયત્ન કર્યો છે. જો કે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, તે પોતાના હિતો પ્રમાણે જ વિદેશ નીતિ નક્કી કરશે. પશ્ચિમી દેશોના પ્રતિબંધોના કારણે ભારત-રશિયા વેપાર માટે વિનિમય વ્યવસ્થા અપનાવી રહ્યા છે. આ અંતર્ગત ભારત રશિયા પાસેથી ખાતર ખરીદશે. બદલામાં રશિયાને એ જ કિંમતની ચા, ઉદ્યોગો માટે કાચો માલ અને ઑટો પાર્ટ્સ આપવામાં આવશે.
ખાતર ખરીદવાનો સોદો ફેબ્રુઆરીમાં શરૂ કર્યો હતો
ભારતની મોટાભાગની વસ્તી કૃષિ પર નિર્ભર છે. ભારતની 2.7 અબજ ડૉલરની અર્થવ્યવસ્થામાં કૃષિનો હિસ્સો 15 ટકા છે. રશિયા-યુક્રેન યુદ્ધથી ખાતરની આયાત પર અસર પડી છે જેના કારણે ખેડૂતો પર બોજો વધી ગયો છે. ભારતે રશિયા પાસેથી ખાતર ખરીદવા માટેનો સોદો ફેબ્રુઆરીમાં જ શરૂ કર્યો હતો. ખાતરની કિંમતોને ઓછી કરવા માટે ભારત સરકારનો રશિયાની સરકાર સાથે આ લાંબા સમયનો કરાર છે જે હવે મહિનાઓ બાદ પોતાના અંતિમ તબક્કામાં છે.
ભારત DAP અને પોટાશનું બીજું સૌથી મોટું ખરીદદાર
ભારત-રશિયા વચ્ચેના આ વેપાર કરારને લઇને ઑસ્ટ્રેલિયાઈ વિદેશ નીતિ થિંક ટૈંક AIESની નિર્દેશક વેલિના ત્ચાકારોવાએ ટ્વીટ કર્યું કે, ‘ભારત 10 લાખ ટન રશિયા ડાઈ-અમોનિયમ ફૉસ્ફેટ (DAP) અને પોટાશની આયાત કરે છે. ભારત DAP અને પોટાશનું બીજું સૌથી મોટું ખરીદદાર છે. ભારત રશિયા પાસેથી દર વર્ષે લગભગ 8 લાખ ટન નાઇટ્રોજન, ફોસ્ફોરસ અને પોટેશિયમ ખરીદે છે.’