આતંકવાદ અને અલગતાવાદથી પીડિત ભારત અને ઇન્ડોનેશિયા
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે મંગળવારે ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે પરસ્પર શાંતિ અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવામાં ઉલેમાની ભૂમિકાની પ્રશંસા કરી હતી. દિલ્હીમાં ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટરમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, બંને દેશો આતંકવાદ અને અલગતાવાદનો ભોગ બન્યા છે. જ્યારે, અમે મોટા પ્રમાણમાં પડકારો પર વિજય મેળવ્યો છે. ત્યારે, સીમાપારનો આતંકવાદ અને ISIS પ્રાયોજિત આતંકવાદ હજુ પણ ખતરો છે. આ દરમિયાન ડોભાલે ઈન્ડોનેશિયામાં તાજેતરમાં આવેલા ભૂકંપમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.
NSAએ કહ્યું કે, “ઇન્ડોનેશિયામાં તાજેતરના ભૂકંપના કારણે જાનમાલના નુકસાનથી અમે બધા દુઃખી છીએ. અમે ભૂકંપ પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. ભારત દુ:ખની આ ઘડીમાં ઈન્ડોનેશિયાની સાથે છે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધો પર તેમણે કહ્યું કે, “બંને દેશોના સારા માટે અમારા આર્થિક અને સંરક્ષણ સંબંધો પણ ઝડપથી વધી રહ્યા છે.”
બંને દેશો વચ્ચે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો છે. આ કારણોસર ભારત અને ઈન્ડોનેશિયા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં લોકશાહીનો વિકાસ કરી રહ્યાં છે. બંને દેશો પોતપોતાના ઈતિહાસ, વિવિધતા અને સહિયારી પરંપરાઓ સાથે એશિયામાં શાંતિ, પ્રાદેશિક સહયોગ અને સમૃદ્ધિની સંભાવનાઓને વધારવાની ક્ષમતા ધરાવે છે. પર્યટન આપણા બંને દેશો વચ્ચે સહયોગનો એક મહત્વપૂર્ણ સેતુ રહ્યો છે.