આસામમાં પૂરના કારણે સ્થિતિ વણસી, 36000 બાળકો સહિત 2 લાખ લોકો પ્રભાવિત
આસામમાં 30 મેના રોજ આવેલા પૂરને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. રાજ્યના 9 જિલ્લાઓમાં 36,000 બાળકો સહિત લગભગ 2 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના રિપોર્ટ અનુસાર, હૈલાકાંડી જિલ્લાના લાલા રેવન્યુ સર્કલ વિસ્તારમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી એક મહિલાનું મોત થયું છે.
કયા જિલ્લામાં કેટલા લોકો અસરગ્રસ્ત છે?
એકલા કચર જિલ્લામાં 1.02 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. કરીમગંજ જિલ્લામાં લગભગ 37000 લોકો, નાગાંવ જિલ્લામાં 22354 લોકો, હોજાઈ જિલ્લામાં 22058 લોકો અને હૈલાકાંડી જિલ્લામાં 14308 લોકો પ્રભાવિત થયા છે.
3238.8 હેક્ટર પાક વિસ્તાર ડૂબી ગયો
નાગાંવ, હોજાઈ, કચર, કરીમગંજ, હૈલાકાંડી, ગોલાઘાટ, કાર્બી આંગલોંગ, પશ્ચિમ કાર્બી આંગલોંગ અને દિમા હસાઓ જિલ્લાના 22 મહેસૂલ વિભાગો હેઠળના 386 ગામો પૂરથી પ્રભાવિત થયા છે. પૂર પ્રભાવિત જિલ્લાઓમાં 3238.8 હેક્ટર પાક વિસ્તાર પૂરના પાણીમાં ડૂબી ગયો હતો.
2.34 લાખથી વધુ પાળેલા પશુઓને પણ થઇ અસર
વહીવટીતંત્રે 9 પૂર પ્રભાવિત જિલ્લાઓમાં 110 રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રો સ્થાપ્યા છે, જ્યાં 35640 લોકોએ આશ્રય લીધો છે. 2.34 લાખથી વધુ પાળેલા પશુઓને પણ અસર થઈ છે.
કોપિલી નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર
પૂરના પાણીએ ગુરુવારે કરીમગંજ જિલ્લામાં 13 રસ્તાઓને નુકસાન પહોંચાડ્યું હતું અને એક બંધનો ભંગ કર્યો હતો, એએસડીએમએ પૂર અહેવાલમાં જણાવાયું હતું. નાગાંવ જિલ્લાના કામપુરમાં કોપિલી નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે.