![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/100-1.png)
ભારત જોડો યાત્રા માં ફારૂક અબ્દુલ્લાએ સામેલ થવાનું કર્યું એલાન
નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લાએ ભારત જોડો યાત્રામાં સામેલ થવાનું એલાન કર્યું છે. તેમણે ગઈકાલે એટલે કે, મંગળવારે કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ જમ્મુ-કાશ્મીર પહોંચશે ત્યારે તેમાં જોડાશે. અબ્દુલ્લાએ કહ્યું કે, દેશની એકતા અને અખંડિતતા જાળવવી એ સમયની માંગ છે. એટલા માટે તેઓ ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીર પહોંચશે ત્યારે તેમાં જોડાશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ‘ભારત જોડો યાત્રા’નું નેતૃત્વ કરી રહ્યા છે. અબ્દુલ્લાએ જણાવ્યું કે, જ્યારે તે લખનપુર પહોંચશે જ્યાંથી જમ્મુ અને કાશ્મીર શરૂ થાય છે ત્યારે હું ત્યાં જઈશ અને રાહુલ ગાંધી સાથે ચાલીશ. અમે આ દેશની એકતા અને અખંડિતતા માટે સાથે ચાલીશું. તેમણે કહ્યું કે, એકજૂથ રહેવું એ સમયની માંગ છે. પૂર્વ મુખ્યમંત્રી હાલમાં સંસદીય સમિતિની બેઠક માટે નવી દિલ્હીમાં છે.
કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી લગભગ 3570 કિલોમીટરની ‘ભારત જોડો યાત્રા’ 7 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી. રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ આજે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. આ યાત્રા બુરહાનપુર થઈને મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. આજે પ્રિયંકા ગાંધી પણ યાત્રામાં ભાગ લેશે. જ્યાં તે 4 દિવસ સુધી રાહુલ ગાંધી સાથે યાત્રા કરશે. આ પ્રથમ વખત હશે જ્યારે પ્રિયંકા ગાંધી યાત્રામાં ભાગ લેશે.