ખેડૂત આંદોલન : પંજાબના DIGનું રાજીનામું, કહ્યું- ખેડૂતનો દીકરો છું, મારા ભાઈઓના હક માટે લડીશ
કૃષિ કાયદા વિરુદ્ધ 18 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં હવે પંજાબ પોલીસ પણ આવી ગઈ છે.DIGલખમિંદર સિંહ જાખડે રવિવારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ADGP પીકે સિન્હાએ રાજીનામાની કોપી મળવાની પુષ્ટી કરી છે. લખમિંદરે લખ્યું કે, રાજ્યના ખેડૂતો પરેશાન છે. ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે રસ્તા પર બેઠા છે. હું પોતે એક ખેડૂતનો દીકરો છું, એટલા માટે આંદોલનનો ભાગ બનવા માગું છું. તાત્કાલિક ધોરણે પદમુક્ત કરો, જેથી દિલ્હી જઈને મારા ખેડૂત ભાઈઓ સાથે મળીને મારા હક માટે લડી શકું.
સરકાર કાયદો પાછો લેવા ઉપરાંત કોઈ પણ પ્રકારના સુધારા માટે તૈયાર છે. જેના માટે હવે ખેડૂતો આજે દિલ્હી-જયપુર હાઈવે બંધ કરી શકે છે. તેમને ચેતવણી આપી કે જો સરકાર તેમની માગ નહીં સ્વીકારે, તો તે સોમવારે ભૂખ હડતાળ કરશે.
ખેડૂત નેતા કમલપ્રીત સિંહે કહ્યું કે, રવિવારે રાજસ્થાનના હજારો ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે દિલ્હી આવી રહ્યાં છે. આ દરમિયાન તેઓ દિલ્હી-જયપુર હાઈવે બ્લોક કરશે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે અમારું આંદોલન ખતમ કરવા માટે ઘણા કીમિયા અજમાવ્યા, પણ અમે બધું ફેઈલ કરી દીધું.
કમલપ્રીતે કહ્યું કે, સરકારે ભાગલા પાડવાનો પુરેપુરો પ્રયાસ કર્યો. જીત મળે ત્યાં સુધી અમે લોકો શાંતિપૂર્ણ દેખાવ કરીશું. 14 ડિસેમ્બરે સિંધુ બોર્ડર પર ઘણા ખેડૂત નેતા એક સાથે મંચ પર આવશે અને ભૂખ હડતાળ કરશે. અમારી માંગ છે કે ત્રણેય કાયદાઓને પાછા લઈ લેવામાં આવે. અમે કોઈ પણ પ્રકારના ફેરફારના પક્ષમાં નથી.
આ બધાની વચ્ચે, ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ શનિવારે જણાવ્યું હતું કે, ખેડૂતોની પંજાબથી આવતી ઘણી ટ્રોલીઓને સરકારે અટકાવી દીધી છે. અમે લોકો સરકારને અપીલ કરીએ છીએ કે તે ખેડૂતોને દિલ્હી પહોંચવા દે. જો સરકાર 19 ડિસેમ્બર પહેલા અમારી માગ નહીં સ્વીકારે તો અમે ગુરુ તેગ બહાદૂરના શહીદી દિવસે ભૂખ હડતાળ પણ શરૂ કરી દેશું.
આંદોલનની મહત્વની વાતો
દિલ્હી-ગાજીપુર બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને ગરમ કપડાં વહેંચવામાં આવ્યા. પંજાબથી આવેલા બે ભાઈઓએ કહ્યું કે, રસ્તા પર રહેવું કોને ગમે છે. હું વડાપ્રધાન મોદીનું ફેન છું. મને આશા છે કે, તે સમજશે કે ખેડૂતો વગર દેશ આગળ નહીં વધી શકે.
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ખેડૂત બિલનો વિરોધ કરી રહેલા અમુક લોકોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું. ખેડૂતોના સમર્થનમાં દેખાવ કરી રહેલા લોકોએ શનિવારે ભારતીય દૂતાવાસ સામે ગાંધી પ્રતિમા પર સ્પ્રેથી પેઈન્ટ કર્યું. પ્રદર્શનકારીઓએ ગાંધીના ચહેરાને ખાલિસ્તાની ધ્વજથી ઢાંકી દીધો હતો.
આંદોલન વચ્ચે હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ શનિવારે ઘણા કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારપછી તેમણે કહ્યું કે, જે રીતે કેન્દ્ર સરકાર વાતચીત કરી રહી છે, તેનાથી સ્પષ્ટ છે કે સરકાર આ મામલનો નિવેડો ઈચ્છે છે. મને પુરો વિશ્વાસ છે કે આગામી 24થી 48 કલાક આના માટે નિર્ણાયક હોઈ શકે છે.
ખેડૂતોના મુદ્દે NDAથી અલગ થયેલ શિરોમણિ અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે કહ્યું કે, કેન્દ્ર સરકાર ખેડૂતોનું સાંભળવાની જગ્યાએ તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. જેમના માટે કાયદો બનાવાયો છે, એ લોકોને જ આ કાયદો નથી જોઈ તો કેન્દ્ર સરકાર શા માટે આટલો અત્યાચાર કરે છે? હું વડાપ્રધાનને અપીલ કરું છું કે તે ખેડૂતોનું સાંભળે.
ભારતીય ખેડૂત યૂનિયનના ત્રણેય કૃષિ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે આ કાયદાના કારણે ખેડૂત કોર્પોરેટની લાલચ આગળ નબળા પડશે. ખેડૂતોએ બુધવારે સરકારનો લેખિત પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો.
દિલ્હી-નોઈડા બોર્ડર પર ચાલી રહેલું UPના ભારતીય કિસાન યૂનિયને શનિવારે પોતાનું આંદોલન ખતમ કરી દીધું. રક્ષામંત્રી રાજનાથસિંહે શનિવારે રાતે કિસાન સંગઠનો સાથે ચર્ચા કરી હતી. ખેડૂતો અને સરકાર વચ્ચે કૃષિ પંચની રચના માટે સહમતિ થઈ છે.