રેલવેના નોનગેઝેટેડ કર્મચારીઓની દિવાળી સુધરશે, 11.58 લાખ કર્મચારીઓને બોનસ આપવાનો કરાયો નિર્ણય
રેલવેના 11.58 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને નાણાકીય વર્ષ 2019-20 માટે 78 દિવસના પગાર જેટલુ બોનસ આપવામાં આવશે તેમ ભારતીય રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું છે. રેલવેના જણાવ્યા અનુસાર રેલવેના કર્મચારીઓને આ પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ(પીએનબી) ચૂકવવા પાછળ કુલ 2081.68 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે મળેલી કેબિનેટની બેઠકમાં રેલવેના 11.58 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને નાણાકીય વર્ષ 2019-20 માટે 78 દિવસના પગાર જેટલુ બોનસ આપવાના રેલવે મંત્રાલયના પ્રસ્તાવના મંજૂરી આપવામાં આવી હતી.
નોન ગેઝેટેડ કર્મચારીઓને થશે મોટો ફાયદો
રેલવેના 11.58 લાખ કર્મચારીઓને બોનસ ચૂકવવા પાછળ કુલ 2081.68 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. રેલવેના નોન ગેઝેટેડ કર્મચારીઆના પીએલબીની ગણતરી કરવા માટે પગાર ગણતરીની મર્યાદા પ્રતિ મહિને 7000 રૂપિયા છે. 78 દિવસના પગાર માટે રેલવે કર્મચારીઓ માટે મહત્તમ બોનસની રકમ 17951 રૂપિયા થાય છે. રેલવેના નિવેદન મુજબ સરકારના આ નિર્ણયથી રેલવેના કુલ 11.58 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને ફાયદો થશે.
પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ(પીએનબી)નો લાભ આરપીએફ અને આરપીએસએફ સિવાયના તમામ નોન ગેઝેટેડ રેલવે કર્મીઓને મળશે. દર વર્ષે દશેરા અગાઉ રેલવે કર્મચારીઓને બોનસ ચૂકવી દેવામાં આવે છે. ચાલુ વર્ષે પણ રજાઓ અગાઉ બોનસ ચૂકવી દેવામાં આવશે. રેલવેએ વધુમાં જણાવ્યું છે કે બોનસની ચૂકવવાને કારણે કર્મચારીઓ રેલવેનો દેખાવ સુધારવાનો પ્રયત્ન કરશે.