![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/06/16-2.jpg)
દિલ્હી પોલીસને PM મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને બિહારના CMની હત્યાની ધમકીનો ફોન આવ્યો
દિલ્હી પોલીસની આઉટર ડિસ્ટ્રિક્ટ પોલીસને બુધવારે બે પીસીઆર કોલ મળ્યા હતા જેમાં વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહ મંત્રી અને બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી.
આ અંગે દિલ્હી પોલીસે કહ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને કોલ કરનાર વ્યક્તિ વિશે જાણવા માટે એક ટીમ તૈનાત કરવામાં આવી છે. દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે યુવકની ઓળખ થઈ ગઈ છે તેનું નામ સંજય વર્મા છે અને તે દિલ્હીના માદીપુર વિસ્તારનો રહેવાસી છે.
પોલીસની તાજેતરની માહિતી પ્રમાણે કથિત વ્યક્તિ દારૂનો વ્યસની છે અને ટૂંક સમયમાં તેને પકડી લેવામાં આવશે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે તેના પરિવાર પાસે પહોંચ્યા જ્યાં જાણવા મળ્યું કે તે શરાબી છે અને ગઈ રાતથી દારૂ પી રહ્યો છે. હાલમાં તે ઘરે નથી. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
આ પહેલીવાર નથી બન્યુ કે જ્યારે કોઈ અજાણ્યા ફોન કોલ દ્વારા વડાપ્રધાન અને મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય. આ પહેલા પણ પોલીસને ધમકીના કોલ આવી ચૂક્યા છે પરંતુ દર વખતે તપાસમાં તે વ્યક્તિ કાં તો શરાબી નીકળ્યો હતો કાં તો વિકૃત માનસિકતા વાળો નીકળ્યો હતો.