મહારાષ્ટ્રથી ઇમરાન પ્રતાપગઢીને ટિકિટ મળતા કોંગ્રેસમાં શરૂ થયો ડખો
કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા મહારાષ્ટ્રના કોંગ્રેસી નેતાઓને નકારી કાઢીને બહારના વ્યક્તિને રાજ્યસભાની ઉમેદવારી આપ્યા બાદ રાજ્યના કોંગ્રેસના નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ઉત્તર પ્રદેશના લઘુમતી નેતા ઈમરાન પ્રતાપગઢીને મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે.
કોંગ્રેસના નેતાઓએ બહારનો નેતા આપવાનો કર્યો વિરોધ
કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા બાળાસાહેબ થોરાટ સહિત તમામ નેતાઓએ બહારના ઉમેદવારો આપવાનો વિરોધ કર્યો હોવાના અહેવાલ છે. આ નેતાઓએ દિલ્હીને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે, મહારાષ્ટ્રમાં હજુ 8 મોટી નગરપાલિકાઓ અને ઘણી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની બાકી છે. જે વિધાનસભાની ચૂંટણીની સેમીફાઇનલ હશે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રને કોઈ બહારના ઉમેદવારને રાજ્યસભા આપવાથી કોઈ ફાયદો નહીં થાય.
મુસ્લિમ નેતાઓમાં પણ નારાજગી
મહારાષ્ટ્રના મોટા નેતાઓને સોમવારે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. સોમવારે સાંજે 5 વાગ્યે કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલની કેબિનમાં મહારાષ્ટ્રના નેતાઓની બેઠક રાખવામાં આવી છે. યુપીમાંથી મુસ્લિમ નેતાની ઉમેદવારી પર મહારાષ્ટ્રમાં કોંગ્રેસના મુસ્લિમ નેતાઓમાં પણ નારાજગી છે. તેઓ કહે છે ‘શું અમે મરી ગયા છીએ?’
MIMને ટક્કર આપવા મહેનતુ મુસલમાન ઉમેદવારને આપવી જોઇએ
એક નેતાએ કહ્યું કે, એમઆઈએમ મહારાષ્ટ્રમાં પગ જમાવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં MIMના નેતાની અલગ-અલગ બેઠકો સતત થઈ રહી છે. જો MIM ટક્કર આપવી હોય તો મહારાષ્ટ્રમાંથી જ એક ઝુઝારું, મહેનતુ અને ભરોસાપાત્ર મુસલમાનને ઉમેદવારી આપવી જોઈએ.
બહારના ઉમેદવાર આપવાનો શો અર્થ છે?
એક નેતાએ કહ્યું કે શિવસેના, એનસીપી અને ભાજપે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના નેતાઓને જ ઉમેદવારી આપી છે, તો પછી કોંગ્રેસ દ્વારા બહારના ઉમેદવાર આપવાનો શો અર્થ છે? નેતાએ આશંકા વ્યક્ત કરી હતી કે જો ભાજપ તેનો ત્રીજો ઉમેદવાર ઉતારે તો કોંગ્રેસના ધારાસભ્યોના મતો ન જાય તેની શું ગેરંટી છે. જોકે કોંગ્રેસ પાસે મહારાષ્ટ્રમાંથી અવિનાશ પાંડે, મિલિંદ દેવરા, સંજય નિરુપમ જેવા મોટા નેતાઓ રાજ્યસભામાં મોકલવા માટે ઉપલબ્ધ હતા.
કોંગ્રેસના એક મોટા નેતા AAP સાથે સંપર્કમાં
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્યના એક મોટા અને પારિવારિક કોંગ્રેસમેન, જેમનો મીડિયામાં પણ દબદબો છે. તેઓ હાલમાં આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે. આમ આદમી પાર્ટી સાથે તેમની ચર્ચા પંજાબમાંથી રાજ્યસભામાં જવાની ચાલી રહી છે. જો બધું બરાબર રહ્યું તો આમ આદમી પાર્ટીને મહારાષ્ટ્રમાં એક આધાર મળી જશે.