![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/06/02-4.jpg)
મધ્યપ્રદેશમાં ટ્રેન ઉથલાવવાનું નિષ્ફળ કાવતરુ : 1 કિમી સુધીના પાટામાંથી 158 ચાવીઓ ગાયબ, રેલવે તંત્ર દોડ્યું
મધ્યપ્રદેશમાં ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બદમાશોએ પાટામાંથી 158 ચાવીઓ કાઢી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે… એટલું જ નહીં બદમાશોએ કોંક્રીટ પરના લોક પાટાઓમાંથી 37ના લોક ખોલી નાખવાની ઘટના બની છે. જોકે ડ્રાઈવરે સમય સૂચકતા દાખવતા ટ્રેનનો મોટો અકસ્માત ટળ્યો છે.
મળતા અહેવાલો મુજબ મધ્યપ્રદેશનાં સતનામાં મોટો ટ્રેન એકસ્માત કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું. આ ઘટના સતનાના ઉચેહરા નજીક પિપરીકલાથી કુંદરહરીના મુંબઈ-હાવડા રેલવે માર્ગ પર બની છે. મહાકૌશલ એક્સપ્રેસ ટ્રેન પસાર થાય તે પહેલા તેના રુટ પરથી કોંક્રીટ પર લોક પાટાઓમાંથી 37ના લોક ખોલી પાટામાં લગાવેલી 158 ચાવીઓ નિકાળી દીધી હતી. હાલ અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે.
તાજેતરમાં જ ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેન અકસ્માત થયા હતા, જેની હાલ તપાસ ચાલી રહી છે, ત્યારે મધ્યપ્રદેશના સતના જિલ્લામાંથી પસાર થનાર મુંબઈ-હાવડા રેલવે ટ્રેક પર સતના-ઉચેહરા સ્ટેશન વચ્ચે લગભગ એક કિલોમીટર સુધી કોંક્રીટ પરના લોક પાટાઓમાંથી ચાવીઓ નિકાળી પાટા સાથે છેડછાડ કરવાની ઘટના સામે આવ્યા બાદ રેલવે તંત્રએ પણ તપાસ શરૂ કરી છે.
અજાણ્યા લોકોએ પાટામાં ખાના-ખરાબી સર્જી ટ્રેન ઉથલાવવાનું મોટું કાવતરું રચ્યું હતું. જો આ દરમિયાન ફુલ સ્પીડે ટ્રેન પસાર થઈ હોત તો નિશ્ચિતરૂપે મોટો ટ્રેન અકસ્માત સર્જાયો હોત. હાવડા-મુંબઈ રેલવે ટ્રેક ખુબ જ વ્યસ્ત હોય છે તેમજ આ ટ્રેક પર દિવસ-રાત મેલ અને સુપર ફાસ્ટ ટ્રેનો આવતી-જતી હોય છે. આ ઘટના 18મી જૂન રાત્રે 11.00 વાગ્યાની છે.
જબલપુરથી દિલ્હી જતી મહાકૌશલ એક્સપ્રેસ ટ્રેનના એન્જીન સાથે કેટલીક સાઈકલ અથડાઈ હતી, ત્યારબાદ લોકો પાયલોટે ટ્રેનનો થોભી તપાસ કરી… ત્યારબાદ આ ષડયંત્ર અથવા ચોરીનો ખુલાશો થયો કે, ઉચેહરા રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેકમાંથી લગભગ 150થી વધુ ચાવીઓ પાટામાંથી ગાયબ છે. આ બાબત સામે આવતા જ લોકો પાયલોટે તુરંત ઉચેહરા સ્ટેશન માસ્ટરને સૂચના આપતા ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે તપાસ કરી તો લગભગ 1 કિલોમીટર લાંબી ટ્રેકમાંથી ચાવીઓ કાઢી હોવાનું સામે આવ્યું હતું. આસપાસ તપાસ કરવામાં આવતા એક બોરીમાંથી ટ્રેકની ચાવીઓ ભરેલી મળી આવી… સ્થળ પરથી 2 સાયકલ અને હથોડી પણ મળી… આ ઘટના અંગે અજાણ્યા લોકો સામે ઉચેહરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી.