ગાઝાના નાગરિકો માટે કેનેડાએ કરી મોટી જાહેરાત, જાણો કોને મળશે ફાયદો
કેનેડાએ ગાઝા પટ્ટીના એવા લોકોને કામચલાઉ વિઝા આપવાની જાહેરાત કરી છે જેમના સંબંધીઓ કેનેડામાં રહે છે. ગુરુવારે રાત્રે આ સંદર્ભમાં માહિતી આપતા દેશના ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે કહ્યું કે આ અભિયાન 9 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. જોકે, સંઘીય સરકારે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની કોઈ ખાતરી આપી નથી.
ઇમિગ્રેશન મિનિસ્ટર મિલરે જણાવ્યું હતું કે સરકારનું ધ્યાન ગાઝામાંથી 660 કેનેડિયન નાગરિકો, કાયમી રહેવાસીઓ અને તેમના જીવનસાથીઓ અને બાળકોને બહાર કાઢવા પર છે.
સરકાર ત્રણ વર્ષ માટે વિઝા આપશે
મિલરે જણાવ્યું હતું કે સરકાર કેનેડામાં વિસ્તૃત કૌટુંબિક સંબંધો ધરાવતા લોકોની અરજીઓ સ્વીકારવાનું શરૂ કરશે, જેમાં માતાપિતા, દાદા દાદી, ભાઈ-બહેન અને પૌત્રોનો સમાવેશ થાય છે.
ઈમિગ્રેશન મિનિસ્ટરે કહ્યું કે જેઓ ધોરણોને પૂર્ણ કરે છે તેમને સરકાર ત્રણ વર્ષ માટે વિઝા આપશે. મિલરે કહ્યું કે તેઓ નિશ્ચિતપણે કહી શકતા નથી કે આ અભિયાન હેઠળ કેટલા લોકો કેનેડા આવી શકે છે, પરંતુ તેમણે કહ્યું કે સંખ્યા સેંકડોમાં હોઈ શકે છે.
મિલરે એમ પણ કહ્યું કે ગાઝામાંથી કેનેડિયન નાગરિકોને બહાર કાઢવું મુશ્કેલ છે અને “અમારી ક્ષમતાઓ મર્યાદિત છે.”
ગાઝાના સરકારી મીડિયા કાર્યાલયના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબરથી ઇઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 20,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, અલ જઝીરાએ અહેવાલ આપ્યો છે. ઇઝરાયેલ પર હમાસના હુમલામાં મૃત્યુઆંક અંદાજે 1,140 છે.