![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/12/borris_1608029361.jpg)
બ્રિટનનાં PM બોરિસ જોહન્સન ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ હશે
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોહન્સન આ વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમના મુખ્ય અતિથિ હશે. તેમણે આ માટે ભારતના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. બ્રિટનના વિદેશમંત્રી ડોમિનિક રાબે ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર સાથે મંગળવારે પ્રતિનિધિ સ્તરની વાતચીતમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે મને ખુશી છે કે ભારત તરફથી ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લેવા મોકલવામાં આવેલા આમંત્રણને PM જોહન્સને સ્વીકાર્યું છે. આ અમારા માટે ખુશીની વાત છે. આ સાથે PM જોહન્સનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આગામી વર્ષે બ્રિટનના નેતૃત્વ હેઠળ યોજાનારી G-7 સમિટમાં ભાગ લેવા આમંત્રણ મોકલ્યું છે.
બ્રિટનના વિદેશમંત્રી ચાર દિવસના પ્રવાસ પર ભારત આવ્યા છે
ડોમિનિક રાબ સોમવારે ચાર દિવસના પ્રવાસ પર ભારત આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી કે મંગળવારે વિદેશમંત્રી એસ. જયશંકરે બ્રિટનના વિદેશમંત્રીનું સ્વાગત કર્યું હતું. બન્ને વચ્ચેની મુલાકાતનો એજન્ડો પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર વાતચીત કરવાનો છે.
ભારતયાત્રા સમયે ડોમિનિક રાબ પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકર અને શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ સાથે પણ મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયે આ યાત્રા અંગે જણાવ્યું છે કે કોરોના બ્રેક્ઝિટના સમયમાં ડોમિનિક રાબનો આ પ્રવાસ કારોબાર, સંરક્ષણ, આબોહવા, સ્થળાંતર, શિક્ષણ તથા આરોગ્યનાં ક્ષેત્રમાં ભાગીદારીનો માર્ગ તૈયાર કરશે
બેઠક બાદ એસ જયશંકરે કહ્યું હતું કે ડોમિનિક રાબ ખૂબ જ મહત્ત્વના સમયમાં ભારત આવ્યા છે. આપણે કોરોના અને બ્રેક્ઝિટ બાદ વિશ્વ તરફ જોઈ રહ્યા છીએ. આ મુદ્દાઓ પર ચર્ચા કરવાનો આ સારો સમય છે. બેઠક સમયે બન્ને દેશોએ અફઘાનિસ્તાનની સ્થિતિ ઉપરાંત ખાડી અને ઈન્ડો પેસિફિક પ્રદેશના વિકાસની સમીક્ષા કરી.
તેમણે કહ્યું હતું કે ભારત પાસે ઈન્ડો-પેસિફિક એરિયા ઉપરાંત પોતાનું એક વિઝન છે. આ એક સારી વાત છે કે હવે ઈન્ડો-પેસિફિકના વિચારની માન્યતા વધી રહી છે. બેઠકમાં આતંકવાદ અને કટ્ટરપંથથી જે પડકારો ઊભરી રહ્યા છે એ અંગે પણ ચર્ચા કરવામાં આવી. બન્ને દેશો આ મુદ્દે સમાન ચિંતા ધરાવે છે.
ભારત સાથે ઘનિષ્ઠ સંબંધ છે
રાબે કહ્યું, બેઠકમાં એ વાત પર ધ્યાન આપવામાં આવ્યું છે કે ભારત અને યુકેના સંબંધોને કેવી રીતે ઊંચાઈ પર લઈ જવા. અમે વર્ષ 2021માં બ્રિટનના વડપણ હેઠળ યોજાનારી G-7 બેઠક અને UN ક્લાઈમેન્ટ ચેન્જ કોન્ફરન્સ દરમિયાન યોજાનારી વાતચીતને લઈ પ્રતીક્ષા કરી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે બ્રિટન UN સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતના પુનરાગમનનું સ્વાગત કરે છે. બ્રિટન ભારત સાથે આર્થિક સંબંધોને વધારે ઘનિષ્ઠ કરવા માગે છે.
વિશ્વના સૌથી મોટાં સાત અર્થતંત્ર ધરાવતા દેશના સમૂહ G-7 ગ્રુપમાં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. ભારત તેનું સભ્ય નથી