કાશ્મીરના બિજબેહરામાં BJP નેતા શાહનવાઝ હુસૈનની રેલી પહેલાં ગ્રેનેડ હુમલો, CRPF જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરામાં ગુરુવારે બપોરે આંતકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. તેમાં એક CRPF જવાન ઘાયલ થયા છે. જે વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો છે તેનાથી થોડા અંતરે જ શાહનવાઝ હુસૈનની રેલી થવાની હતી. હાલ આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને અત્યારે અહીં સર્ચ અભિયાન ચાલી રહ્યું છે. પૂર્વ સીએમ અને પીડીપી ચેરમેન મહેબૂબા મુફ્તી બિજબેહરામાં જ રહે ચે. જમ્મુ-કાશ્મીર લોકલ બોડી ઈલેક્શનની ચૂંટણી ચાલી રહી છે. હુસૈન આ મુદ્દે જ અહીં રેલી કરવાના હતા.
અનંતનાગ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એન્કાઉન્ટર પણ થયું હતું. આ એન્કાઉન્ટર ગુંદ બાબા ખલીલ વિસ્તારમાં થયું હતું. આ દરમિયાન આતંકી ઘાયલ થયો હતો. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. કાશ્મીર પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘાયલ આતંકીનો સંબંધ હિજબુલ મુઝાહિદ્દીન સાથે છે.
અટારી બોર્ડર પર બે ઘૂસણખોરોને ઠાર કરવામાં આવ્યા
પાકિસ્તાન તરફથી ગુરુવારે પંજાબ અટારી બોર્ડરથી ઘૂસણખોરીનું કાવતરું બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે BSFએ નિષ્ફળ બનાવી દીધી હતી. ઠાર કરવામાં આવેલા ઘૂસણખોરો પાસેથી હથિયાર અને ગોળાબારુદ મળી આવ્યા છે. ઠાર કરવામાં આવેલા ઘૂસણખોરો પાસેથી એક AK56 રાયફલ, બે મેગ્ઝીન અને 61 કારતૂસ મળી આવી છે. આ સિવાય એક મેગ્નમ રાયફલ, ત્રણ મેગ્ઝીન, 29 કારતૂસ, એક પિસ્તોલ અને પાકિસ્તાની કરન્સી પણ એન્કાઉન્ટર વાળી જગ્યાએથી મળી આવી છે.