રામ જન્મભૂમિના સહાયક પૂજારી પ્રદીપદાસ અને ૧૬ પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ , તમામને ક્વોરન્ટીન કરવામાં આવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૫ ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળ પર રામ મંદિરનો શિલાન્યાસ કરશે. પરંતુ આ પહેલા મીડિયા રિપોર્ટ અનુસાર રામ જન્મભૂમિના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્રદાસના એક શિષ્ય પ્રદીપદાસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે રામલલા મંદિરમાં સહાયક પૂજારી તરીકે કામ કરે છે. આ સાથે જ રામ જન્મભૂમિની સુરક્ષામાં તૈનાત ૧૬ પોલીસકર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં સપડાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આમ આયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ પર કોરોનાનું સંકટ તોળાઈ રહ્યું છે.
આચાર્ય સત્યેન્દ્રદાસ રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પુજારી છે. તેની સહાયતા માટે અન્ય ચાર પુજારીઓ પણ રામલલાની સેવા કરે છે.જોકે ,પૂજારી અને રામ જન્મભૂમિમાં તૈનાત સુરક્ષાકર્મીઓને કોરોના સંક્ર્મણ થયાની વાતને સીડીઓ પ્રથમેશ કુમારે નકારી છે.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડો.અનિલ મિશ્રાએ જણાવ્યું કે, રામ જન્મભૂમિ પરિસરમાં પૂજારીઓ દ્વારા ૩ ઓગસ્ટથી જ શાસ્ત્રોક્ત ધાર્મિકવિધિ સાથે પૂજન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે.ત્રણ ઓગસ્ટના રોજ ગણેશ પૂજાની સાથે ઉત્સવ શરુ થશે. ૪ ઓગસ્ટના રોજ રામાર્ચા કાર્યક્રમ અને ૫ ઓગસ્ટના રોજ સવારે ૫ વાગે ગર્ભગૃહ સ્થાને પૂજન અને શાસ્ત્રોક્ત ધાર્મિકવિધિ યોજાશે જેને કાશીના વિદ્વાનોના નેતૃત્વમાં ૧૧ પૂજારીઓની ટીમ સંપન્ન કરાવશે.આ જ ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિપૂજન કાર્યક્રમને વૈદિક મંત્રોંચ્ચાર અને શાસ્ત્રોક્ત ધાર્મિકવિધિ સાથે સંપન્ન કરાવશે. ડો. મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે ત્રણ દિવસની પૂજા અને ધાર્મિકવિધિની વ્યવસ્થા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સંયોજનમાં યોજાશે.