![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/10/bihar.png)
બિહાર ટ્રેન દુર્ઘટનામાં મૃતકોના પરિવારોને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત
બિહાર ટ્રેન દુર્ઘટનામાં, રેલ્વેએ મૃતકોના નજીકના સંબંધીઓને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે પ્રત્યેકને 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે. શ્રી કુમારે કહ્યું કે રાજ્ય સરકાર તમામ ઘાયલોની સારવારનો ખર્ચ ઉઠાવશે.
આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે, 30ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલોને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ- એઈમ્સ અને પટનાની અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. રેલવે પોલીસે તમામ મૃતકોની ઓળખ કરી લીધી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલ લોકોને શક્ય તમામ મદદ આપવાનો આદેશ આપ્યો છે.
નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે અકસ્માતને ધ્યાનમાં રાખીને પટનાની હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. ઈસ્ટર્ન ઝોન રેલવે સેફ્ટી કમિશનર રેલવે અકસ્માતની તપાસ કરશે. પૂર્વ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી, બિરેન્દ્ર કુમારે ઓલ ઈન્ડિયા રેડિયોને જણાવ્યું કે રેલ ટ્રાફિકને સામાન્ય બનાવવા માટે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.ઘટના દરમિયાન કુલ 23 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.
બિરેન્દ્ર કુમારે કહ્યું કે નવી દિલ્હી-પટના-હાવડા રૂટ પર તમામ મોટી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. ઘટનાને જોતા ઘણી પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. પટના-પુરી સ્પેશિયલ સહિત પાંચ ટ્રેનો રદ કરવામાં આવી છે. નવી દિલ્હી-પટના-હાવડા રેલ સેક્શન પરની ટ્રેન સેવાઓ દીનદયાળ ઉપાધ્યાય-ગયા-પટના અને દીનદયાળ ઉપાધ્યાય-સાસારામ-પટના રેલ વિભાગના બદલાયેલા રૂટ પર ચાલી રહી છે.