કોરોના અંગે ઓલ પાર્ટી મીટિંગ :મોદીની મોટી જાહેરાત, આગામી સપ્તાહમાં વેક્સિન આવી જશે
સરકારે કોરોના અંગે આજે ઓલ પાર્ટી મીટિંગ(સર્વપક્ષીય બેઠક) યોજાઈ હતી. વિડિયો-કોન્ફરન્સ દ્વારા આ મીટિંગની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી..તેમણે કહ્યું કોરોના વેક્સિન માટે હવે રાહ જોવાની જરૂર નથી, થોડાંક સપ્તાહમાં રસી તૈયાર થઈ જશે. વેક્સિન કંપનીઓ સાથે ચર્ચા પછી મોદીની આ પહેલી અને મહત્વની બેઠક છે.
ભારતના વૈજ્ઞાનિકોને તેમની સફળતા પર વિશ્વાસ છે અને તેમનો આત્મવિશ્વાસ મજબૂત છે. દુનિયાની નજર ઓછી કિંમત વાળી સૌથી સુરક્ષિત વેક્સિન પર છે. સ્વાભાવિક છે કે દુનિયાની નજર ભારત પર પણ છે. અમદાવાદ, પૂણે અને હૈદરાબાદ જઈને મેં જોયું કે, વેક્સિન મેન્યુફેક્ચરિંગ અંગે તૈયારીઓ કેવી છે. ICMR અને ગ્લોબલ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો સાથે તાલમેલ કરવામાં આવી રહ્યો છે. તમામ કમર કસીને તૈયાર છે. લગભગ 8 એવી સંભવિત વેક્સન છે, જે ટ્રાયલના અલગ અલગ તબક્કામાં છે. જેનું મેન્યફેક્ચરિંગ ભારતમાં જ થયું છે.
ભારતની 3 અલગ અલગ વેક્સિનની ટ્રાયલ અલગ તબક્કામાં થયું. એક્સપર્ટનું માનવું છે કે વેક્સિન માટે વધુ રાહ નહીં જોવી પડે. માનવામાં આવી રહ્યું છે કે આગામી થોડાંક સપ્તાહમાં વેક્સિન તૈયાર થઈ જશે. વૈજ્ઞાનિકોની લીલી ઝંડી મળતાની સાથે જ ભારતમાં વેક્સિનેશન શરૂ કરી દેવાશે. પહેલા તબક્કામાં કોને વેક્સિન લગાવાશે, તે અંગે પણ કેન્દ્ર રાજ્યોના સૂચન પર કામ કરી રહ્યું છે. પ્રાથમિકતા હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને પહેલાથી ગંભીર બિમારીઓ સામે ઝઝૂમી રહેલા વુદ્ધોને આપવામાં આવશે.
વેક્સિનના ડિસ્ટ્રિબ્યૂશન અંગે પણ કેન્દ્ર અને રાજ્યની ટીમ મળીને કામ કરી રહી છે. અન્ય દેશોની તુલનામાં આપણે શ્રેષ્ઠ છીએ. આપણી પાસે વેક્સિનેશન માટે દુનિયાનું સૌથી મોટું અને અનુભવી નેટવર્ક છે. જે પણ વધુ જરૂર હશે, તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. કોલ્ડ ચેનને મજબૂત કરવા માટે પ્રયાસ ચાલી રહ્યાં છે. ભારતે વિશેષ સોફ્ટવેર બનાવ્યું છે, જેમાં કોરોના વેક્સિનના લાભાર્થી વેક્સિન સાથે જોડાયેલી રિઅલ ટાઈમની માહિતી મેળવી શકે છે. કોરોના વેક્સિન સાથે જોડાયેલા અભિયાનનું દાયિત્વ નેશનલ એક્સપર્ટ ગ્રુપને આપવામાં આવ્યું છે. આ ગ્રુપ રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહ્યું છે. રાષ્ટ્રીય અને સ્થાનિક જરૂરિયાતોના હિસાબથી નિર્ણય આ ગ્રુપમાંથી લેવાશે.
વેક્સિનની કિંમતનો સવાલ પણ સ્વાભાવિક છે. કેન્દ્ર આ સંબંધમાં રાજ્યો સાથે વાત કર રહ્યું છે. નિર્ણય જન સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને લેવાશે. ભારત આજે એ દેશોમાં છે, જ્યાં દરરોજ ટેસ્ટિંગ વધી રહ્યું છે. ભારત એવા દેશોમાં છે, જ્યાં રિકવરી રેટ વધુ અને મૃત્યુ દર ઘટી રહ્યો છે. આપણે જે રીતે કોરોના વિરુદ્ધ જંગ લડી, તે પ્રત્યેક દેશવાસીની ઈચ્છાશક્તિને દેખાડે છે. ભારતે વિકસિત દેશોની તુલનામાં લડાઈ સારી રીતે લડી છે.
આપણે માત્ર આપણા દેશના નાગરિકોની જ ચિંતા નથી કરી પણ અન્ય દેશોની મદદ કરવા માટે પણ કામગીરી કરી છે. ફેબ્રુઆરી-માર્ચની આશંકાઓ ભરેલા માહોલથી માંડી આજે ડિસેમ્બરના વિશ્વાસ અને આશાઓના વાતાવરણ વચ્ચે ભારતે લાંબી યાત્રા નક્કી કરી છે. હવે જ્યારે વેક્સિન તૈયાર થવાના આરે છે તો એ જ જનભાગીદારી, સહયોગ આગળ પણ જરૂરી છે. તમે બધા અનુભવી સાથીઓના સૂચન પણ સમય સમયે આમાં ભૂમિકા નિભાવશે. જ્યારે આટલું મોટું રસીકરણ અભિયાન ચાલે છે, તો અનેક અફવાઓ સમાજમાં ફેલાવવામાં આવે છે. આ જનહિત અને રાષ્ટ્રહિતના વિરુદ્ધ છે. તમામ પક્ષોનું દાયિત્વ છે કે દેશના નાગરિકોને જાગૃત કરે અને અફવાઓથી બચાવે.
મીટિંગમાં મોદી સાથે જ રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધનના સામેલ થવાની આશા છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી અને સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ પણ સામેલ થશે. આ મીટિંગ એવા વખતે બોલાવવામાં આવી છે જ્યારે દિલ્હીમાં કોરોનાના વધતા કેસને કારણે સંસદના શિયાળુ સત્રને બજેટ સત્ર સાથે મર્જ કરવાની ચર્ચા ચાલી રહી છે.
મોદી કોરોનાની સ્થિતિ સાથે જ વેક્સિન ડેવલપમેન્ટ પર પણ સતત નજર રાખી રહ્યા છે. તેમણે 30 નવેમ્બરે વિડિયો-કોન્ફરન્સ દ્વારા જેનોવા બાયોફાર્મા, બાયોલોજિકલ ઈ અને ડો. રેડ્ડીઝની ટીમ સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાને તેમને સલાહ આપી કે સામાન્ય લોકોને વેક્સિનની અસર જેવી વાતો વિશે સરળ શબ્દોમાં સમજાવવા માટે એક્ટ્રા એફર્ટ લગાવો.
આ પહેલાં વડાપ્રધાને 28 નવેમ્બરે પુણેના સિરમ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદના ઝાયડ્સ, બાયોટેક પાર્ક અને હૈદરાબાદમાં ભારત બાયોટેક ફેસેલિટીની મુલાકાત કરી વેક્સિનની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
આ નેતાઓ જોડાઈ શકે છે
કોંગ્રેસમાંથી અધીર રંજન ચૌધરી અને ગુલામ નબી આઝાદ
TMCના સુદીપ બંદોપાધ્યાય અને ડેરેક ઓ’બ્રાયન
બીજુ જનતા દળથી ચંદ્રશેખર સાહુ
YSRCPમાથી વિજયસાઈ રેડ્ડી અને મિથુન રેડ્ડી
AIMIMથી ઈમ્તિયાઝ જલીલ
શિવસેનાથી વિનાયક રાઉત
JDUથી આરસીપી સિંહ
અન્નાદ્રમુકથી નવનીત કૃષ્ણન
દ્રમુકમાંથી TRK બાલુ અને તિરુચિ શિવા
JDSથી એચડી દેવગૌડા
NCPમાંથી શરદ પવાર
સપામાંથી રામગોપાલ યાદવ
બસપામાંથી સતીશચંદ્ર મિશ્રા
RJDમાંથી પ્રેમચંદ્ર ગુપ્તા
TDPમાંથી જયદેવ ગલ્લા
AAPમાંથી સંજય સિંહ
TRSમાંથી નાગેશ્વર રાવ
લોક જનશક્તિ પાર્ટીમાંથી ચિરાગ પાસવાન
અકાલી દળમાંથી સુખબીર બાદલ