![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/100-6.png)
આપના સત્યેન્દ્રને તિહારમાં મસાજ કરનારો આરોપી રેપનો કેદી નિકળ્યો
હાલમાં જ દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનનો તિહાર જેલમાં મસાજ કરાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેને પગલે જૈનને તિહાર જેલમાં વીઆઇપી સુવિધા મળી રહી હોવાનો આરોપ ભાજપ દ્વારા થયો હતો. તેથી દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે સત્યેન્દ્ર જૈનને જેલમાં મસાજ દ્વારા સારવાર અપાઇ રહી છે. પણ હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે જૈનને જે વ્યક્તિ મસાજ કરી રહ્યો હતો તે રેપનો આરોપી છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં સત્યેન્દ્ર જૈનને જેલમાં વીઆઇપી સુવિધા આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. ભાજપે આરોપ લગાવ્યો હતો કે તિહાર જેલનો વહિવટ દિલ્હીની આપ સરકારના હસ્તકમાં હોવાથી જેલમાં જૈનને વીઆઇપી સુવિધા આપ સરકારના ઇશારે જ મળી રહી છે. સત્યેન્દ્ર જૈનની મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી પછી તેને તિહાર જેલમાં રખાયા છે. તિહાર જેલ અગાઉ સુકેશ ચંદ્રશેખર નામના આરોપીને વીઆઇપી સુવિધા આપવાને કારણે પણ ચર્ચામાં રહી છે.
ત્યારે હવે સત્યેન્દ્ર જૈનને પણ અન્ય કેદીઓ કરતા વધુ સારી અને નિયમો વિરુદ્ધ સુવિધા મળી રહી હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિ વચ્ચે આપ દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો અને દાવો કરાયો હતો કે જૈનને ફિઝિયોથેરાપી આપવામાં આવી રહી છે તેમના સ્પાઇનમાં તકલીફ છે. તેથી મસાજ આપવામાં આવી રહ્યો છે. જોકે આપના આ દાવા પર પણ હવે સવાલ ઉઠી રહ્યા છે. વીડિયોમાં જૈનને જે મસાજ કરી રહ્યો છે તે વ્યક્તિ જેલનો જ કેદી છે, કોઇ મસાજ નિષ્ણાત કે ડોક્ટર નથી, આ કેદી રેપના આરોપો હેઠળ તિહાર જેલમાં બંધ હોવાનું મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે તેથી હવે આપના દાવા પર સવાલ ઉઠવા લાગ્યા છે. જ્યારે ભાજપના પ્રવક્તા શહજાદ પુનાવાલાએ પણ દાવો કર્યો હતો કે મસાજ આપનારો પોક્સો, ૩૭૬ સહિતના કાયદા હેઠળ જેલમાં કેદ છે.