![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/07/Untitled-68.jpg)
અરુણાચલ પ્રદેશના તિરપ જિલ્લામાં 6 ઉગ્રવાદી ઠાર; કાશ્મીરના નૌગામમાં બે આતંકવાદી ઠાર, 2 AK-47 અને દારૂગોળાનો જથ્થો કબ્જે કરવામા આવ્યા.
અરુણાચલ પ્રદેશના તિરપ જિલ્લાના ખોંસા વિસ્તારમાં સુરક્ષાદળોએ 6 ઉગ્રવાદીઓને એન્કાઉન્ટરમાં ઢાળી દીધા હતા. ઉગ્રવાદીઓની 6 રાઇફલ, કારતૂસ અને અન્ય હથિયારો કબ્જે કરવામા આવ્યા છે. અસમ રાઇફલ્સનો એક જવાન પણ આ અથડામણમાં ઘાયલ થયો હતો. ઉગ્રવાદીઓ ખાસ લોકેશન પર છૂપાયા હોવાની બાતમી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામા આવ્યું હતું.
બીજી તરફ કાશ્મીરના કુપવાડા જિલ્લાના નૌગામ સેક્ટરમાં સુરક્ષાદળોએ 2 આતંકવાદી ઠાર કર્યા હતા. આતંકવાદી LoCથી ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમની પાસેથી બે AK 47 અને દારૂગોળાનો જથ્થો કબ્જે લેવામા આવ્યો છે. આર્મીના પ્રવક્તાએ જણાવ્યું કે શનિવારે નૌગામ સેક્ટરમાં એક શંકાસ્પદ મુવમેન્ટ દેખાઇ હતી, ત્યારબાદ આ કાર્યવાહી કરવામા આવી હતી. આતંકવાદીઓ LoC પર ફેન્સિંગને કાપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. બોર્ડરની પાર આતંકવાદી લોન્ચપેડ સંપૂર્ણપણે સક્રિય છે અને ત્યાં 250થી 300 આતંકવાદીઓ ઉપસ્થિત છે.
સુરક્ષાદળોએ આ મહિનામાં અત્યારસુધી 6 આતંકવાદીને ઠાર કર્યા છે. અગાઉ પુલવામા જિલ્લાના ગોસૂ વિસ્તારમાં એક આતંકવાદીને મારવામા આવ્યો હતો. ત્યાં એક જવાન શહીદ પણ થયો હતો. 4 જુલાઇએ કુલગામના અર્રાહ વિસ્તારમાં હિજબુલના 2 આતંકવાદી ઠાર કરવામા આવ્યા હતા. 2 જુલાઇએ શ્રીનગરના માલબાગમાં સુરક્ષાદળોએ ISના 1 આતંકવાદીને માર્યો હતો.
જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાનથી આતંકવાદીઓની ઘુસણખોરીના એલર્ટ બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે. ગત મહિને એન્કાઉન્ટરમાં 51 આતંકવાદીઓને ઠાર કરવામા આવ્યા હતા. કાશ્મીરના IG વિજયકુમારે કહ્યું હતું કે શ્રીનગરમાં આતંકવાદીઓની અવરજવર ચાલુ છે. તેઓ ઇલાજ કરવા, ફન્ડ એકત્ર કરવા અને મીટિંગ કરવા માટે શ્રીનગર આવે છે પરંતુ અમે કોશિષ કરીશું કે તેઓ અહીં બેઝ ન બનાવી શકે. આતંકવાદીઓના આવવાની સૂચના મળવા પર એન્કાઉન્ટર થતા રહેશે.