3 ભાઈઓના ઘટના સ્થળે જ મોત, સૂતેલા પરિવાર પર અંધાધૂંધ ફાયરિંગ: રાજસ્થાનમાં રમાયો ખુની ખેલ
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં શનિવારે રાત્રે પરસ્પર દુશ્મનાવટમાં અંધાધૂંધ ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં ત્રણ સગા ભાઈઓને ગોળી મારી દેવામાં આવી હતી. એક સાથે ત્રણ હત્યાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે મૃતદેહોને સ્થાનિક હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે ત્યાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના ભરતપુર જિલ્લાના કુમ્હેર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સિકરૌરા ગામમાં બની હતી. ત્યાં બંને પક્ષો વચ્ચે પરસ્પર તકરારને લઈને મારામારી થઈ હતી. જેના પર એક તરફથી એક યુવકે તેના સાથીદારો સાથે મળીને સૂતેલા પરિવાર પર ગોળીબાર કર્યો હતો. જેમાં ત્રણ સગા ભાઈઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને બે મહિલાઓ સહિત એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. ગોળીઓના અવાજથી ગામમાં દોડધામ મચી ગઈ હતી. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ભારે પોલીસ ફોર્સ સાથે પોલીસ અધિકારી પહોંચ્યા
બાદમાં ગ્રામજનોએ તાત્કાલિક પોલીસ પ્રશાસનને જાણ કરી અને ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાંથી તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ગંભીર હાલતમાં જયપુર રિફર કરવામાં આવ્યા. પોલીસ અને વહીવટી અધિકારીઓ ભારે પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની સંપૂર્ણ માહિતી લીધી હતી.
બે યુવકો વચ્ચે 3 દિવસ પહેલા ઝઘડો થયો હતો
પ્રાપ્ત માહિતી પ્રમાણે 3 દિવસ પહેલા લખન અને તનપાલ વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ મોડી રાત્રે લખન તેના સાથીદારો સાથે પહોંચી ગયો હતો અને તનપાલના પરિવાર પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આમાં ત્રણ સગા ભાઈઓ ગજેન્દ્ર, સમંદર અને ઈશ્વર સિંહ મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત મૃતક ગજેન્દ્રનો પુત્ર તનપાલ અને તેની માતા અને એક મહિલા ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. ગામમાં તંગદિલીભરી સ્થિતિને જોતા ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ આરોપીનો કોઈ સુરાગ નથી મળ્યો.