નિર્ભયા કેસઃ હવે આરોપીઓને ૧ ફેબ્રુઆરીએ ફાંસી અપાશે
નવી દિલ્હી
પટિયાલા હાઉસ કોર્ટે શુક્રવારે નિર્ભયા કેસના ચારેય આરોપીઓ માટે નવું ડેથ વોરન્ટ બહાર પાડ્યું છે. તે મુજબ ચારેય આરોપીઓને ૧ ફેબ્રુઆરીએ સવારે ૬ વાગે ફાંસી આપવામાં આવશે. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયા કેસના આરોપી મુકેશ કુમારની દયા અરજી શુક્રવારે ફગાવી દીધી હતી. આરોપી મુકેશે આ અરજી મંગળવારે સાંજે રાષ્ટ્રપતિને મોકલી હતી. આ મામલામાં જો અન્ય આરોપીઓ દયા અરજી કરતા નથી તો ૧૪ દિવસ બાદ ચારેય દુષ્કર્મીઓને ફાંસી થઈ શકે છે.
ગૃહમંત્રાલયે નિર્ભયા કેસમાં ચારેય આરોપીઓમાંથી એક મુકેશ સિંહની દયા અરજીને ગુરુવાર રાતે રાષ્ટ્રપતિ પાસે મોકલી મોકલી હતી જે ફગાવી દેવાઈ છે. હાઈકોર્ટમાંથી ક્યૂરેટિવ પિટીશન ફગાવ્યા બાદ મુકેશે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી. સાથે પીડિતાના માતા આશા દેવીએ શુક્રવારે કહ્યું કે, ‘અત્યાર સુધી મેં ક્યારેય પણ રાજકારણની વાત નથી કરી પણ આજે કહેવા માંગું છું કે, જે લોકો ૨૦૧૨માં રસ્તા પર ઉતર્યા હતા, આજે એ જ લોકો મારી દીકરીના મોત પર રાજકીય ફાયદા માટે રમત રમી રહ્યા છે’
મુકેશે દયા અરજીનો હવાલો આપીને ટ્રાયલ કોર્ટ પાસે ૨૨ જાન્યુઆરીએ ડેથ વોરંટ રદ કરવાની માંગ કરી છે. ટ્રાયલ કોર્ટે તિહાર તંત્ર પાસે આરોપીઓને નક્કી કરેલી તારીખે ફાંસી આપવાની સ્થિતિ અંગે શુક્રવાર સુધી રિપોર્ટ દાખલ કરાવવા માટે કહ્યું હતું.
નિર્ભયા કેસની હાલની સ્થિતિ
પટિયાલા હાઉસ કોર્ટે ૭ જાન્યુઆરીએ નિર્ભયાના ચારેય દુષ્કર્મીઓ અક્ષય, પવન, મુકેશ અને વિનય વિરુદ્ધ ડેથ વોરંટ જાહેર કરી દીધું હતું. આ વોરંટમાં કહેવામાં આવ્યું હતું કે, આ આરોપીઓને ૨૨ જાન્યુઆરીએ સવારે ૭ વાગ્યે તિહાર જેલમાં ફાંસી પર ચઢાવવામાં આવશે. ત્યારબાદ બે આરોપીઓ મુકેશ અને વિનયે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે મંગળવારે બન્નેની અરજી ફગાવી દીધી હતી. એક આરોપીએ રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી, દિલ્હી હાઈકોર્ને ડેથ વોરંટ રદ કરવાની માંગ કરી. હાઈકોર્ટે તેની અરજી ફગાવતા નીચલી કોર્ટમાં અરજી કરવા માટે કહ્યું હતું.
દિલ્હી સરકારે દયા અરજી ફગાવવાની ભલામણ કરતા તેને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ પાસે મોકલવામાં આવી હતી. ઉપરાજ્યપાલે પણ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને અરજી ફગાવવાની ભલામણ કરી છે. મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે, દયા અરજી પર ઝડપથી નિર્ણય લેવામાં આવશે.