દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 172 કેસ : કાલથી 168 ટ્રેન રદ થશે
દેશમાં કોરોનાવાઈરસ સંક્રમિતોની સંખ્યા 172 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં પાંચ અને ચંદીગઢમાં એક નવો કેસ પ્રકાશમાં આવ્યો છે. ચંદીગઢમાં 23 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે તાજેતરમાં જ બ્રિટનથી પરત ફરી છે. રેલવેએ મુસાફરોમાં થયેલા ઘટાડાને જોતા 20 માર્ચથી 31 સુધી 168 ટ્રેનોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સાવચેતીના પગલારૂપે જમ્મુના રઘુનાથ મંદિર અને દિલ્હીના ઈસ્કોન મંદિરમાં પણ દર્શન બંધ કરવામાં આવ્યા છે. ઉતરાખંડના હરિદ્વારમાં જિલ્લા એડમિનિસ્ટ્રેશને 31 માર્ચ સુધી ગંગા આરતીમાં આમ લોકોના આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જોકે આ દરમિયાન નિયમિત રૂપથી આરતી થતી રહેશે. બીજી તરફ ચેન્નાઈ એરપોર્ટથી ઉડાન ભરતી 50 ઈન્ટરનેશનલ અને 34 ડોમેસ્ટિક ફ્લાઈટ્સને રદ કરવામાં આવી છે.બુધવારે દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ 28 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. રાજસ્થાન અને કર્ણાટકમાં ત્રણ-ત્રણ, દિલ્હી અને ઉતર પ્રદેશમાં બે-બે, મહારાષ્ટ્ર, હરિયાણા, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને તમિલનાડુમાં એક-એક મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. આ સંકટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાતે 8 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે.