કોરોના વાયરસ :ચીનમાં અત્યાર સુધી 107ના મોત, 24 કલાકમાં 1300 નવા કેસ; વહાનમાં કેટલા ભારતીયો ફસાયા તે સરકારને ખબર નથી
નવી દિલ્હી/બેઈજિંગ : ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા સતત વધી ગઈ છે. આ સંખ્યા મંગળવારે 107 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1300 નવા કેસ સામે આવ્યા છે. ચીનમાં હેલ્થ કમિશને જણાવ્યું કે, હુબેઈ રાજ્યમાં સૌથી વધારે 100 લોકોના જીવ ગયા છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 4515 કેસ નોંધાયા છે. તેમાં 4409 માત્ર ચીનમાં છે. વિદેશ મંત્રાલયને સૌથી વધારે અસર ગ્રસ્ત વુહાન શહેરમાં ફસાયેલા ભારતીયોની સંખ્યા વિશે જાણ નથી. જોકે તેમને ત્યાંથી બહાર કાઢવા માટે એર ઈન્ડિયા જંબો જેટ તૈયાર કરવામાં આવ્યું છે. તેઓ હવે માત્ર સરકાર પાસેથી આદેશ મળવાની રાહ જોઈ રહ્યા છે.હકીકતમાં વુહાનમાં 600થી વધારે ભારતીયો અભ્યાસ કરે છે. પરંતુ ક્રિસમસની રજાના કારણે મોટા ભાગના ભારતીયો ભારત આવ્યા હતા. 250થી 300 જેટલા હજી પણ ભારતીય વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા હોવાની શંકા છે. વિદેશ મંત્રાલયના અધિકારી તરફથી કહેવામાં આવ્યું છે કે, ચીન જતાં દરેક ભારતીય કાઉન્સલેટમાં રજીસ્ટ્રેશન કરાવતા નથી. તેથી આ સંજોગોમાં તેમનો ચોક્કસ આંક મેળવવો મુશ્કેલ છે. દરેક વિદ્યાર્થીઓની ફોન લઈને માહિતી મેળવવામાં આવી રહી છે. અમેરિકા આજે વિશેષ વિમાનથી વુહાનમાં ફસાયેલા તેમના નાગરિકોને એરલિફ્ટ કરવાના છે.ચીનથી પરત ફરેલી સુરતની સિદ્ધી પંડ્યાએ સોમવારે જણાવ્યું કે, હું 12 જાન્યુઆરીએ ચીનથી દિલ્હી પરત આવી હતી. 16-17 તારીખે ત્યાં કોરોના વાયરસ ફેલાયો હોવાની માહિતી મળી હતી. વુહાનમાં મારા મિત્રો ઘણી મુશ્કેલીમાં છે. તેમને ઘરમાંથી બહાર નીકળવાની પણ મંજૂરી નથી. ચીનમાં એક સપ્તાહથી વધારે ચાલી શકે તેટલા કરિયાણાનો સંગ્રહ કરી શકાતો નથી. એટલે આ સંજોગોમાં સ્ટોક ખતમ થઈ જાય તે પણ સ્વાભાવિક છે. ખાણી-પીણીની વસ્તુઓના ભાવ બમણાં થઈ ગયા છે. મિત્રોએ જણાવ્યું કે, 2થી 3 યુઆન વાળી પાણીની બોટલ 150 યુઆન એટલે કે અંદાજે રૂ. 1500માં મળી રહી છે. સુરત પરત ફર્યા પછી વિદેશ મંત્રાલયે ફોન કરીને મારી તબિયત પણ પૂછી. હવે મારી નિયમીત રીતે તપાસ થઈ રહી છે.ચીનથી જયપુર પરત આવેલો એમબીબીએસનો એક વિદ્યાર્થી, હૈદરાબાદમાં 4 અને બિહારમાં એક યુવતીને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. 13 જાન્યુઆરીએ વુહાનથી ઉજ્જૈન પરત ફરેલા એક વિદ્યાર્થીને તેની માતા સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા સહિત 7 એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. ચીને વુહાન સહિત 13 શહેરોને લોક ડાઉન કરી દીધું છે. ગુજરાત અને કેરળના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને ચીનમાંથી ભારતીયોને બહાર કાઢવાની માંગણી કરી છે. સોમવારે મોડી સાંજે ભારતીયોને વુહાનમાંથી બહાર કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એર ઈન્ડિયાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ ઓપરેશન માટે એક બોઈંગ 747 વિમાન તૈયાર છે. તેઓ માત્ર સરકારનો આદેશ મળવાની રાહ જોઈ રહ્યા છે.દક્ષિણ એશિયાથી યુરોપ સુધી પહોંચ્યો કોરોના વાયરસશ્રીલંકા, કેનેડા અને જર્મનીમાં કોરોના વાયરસનો પહેલો કેસ નોંધાયો છે. સોમવાર સુધી થાઈલેન્ડમાં 8, દક્ષિણ કોરિયા અને જાપાનમાં 4-4, અમેરિકા, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયામાં 5-5, વિયતનામાં 2, મલેશિયામાં 3, ફ્રાન્સમાં 3, મકાઉમાં 6 કેસ નોંધાયા છે.