યુવતી-યુવક અને વૃદ્ધાના મૃત્યુ નિપજતાં પંથકમાં અરેરાટી પ્રસરી; ગોઝારી બની રહેલી થરાદની નર્મદા નહેરમાંથી અવિરત મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. જેની વચ્ચે એક જ દિવસમાં વધુ ત્રણ મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર સાથે અરેરાટી પ્રસરી જવા પામી હતી. પાલિકાના ફાયર વિભાગની ટીમે યુવતી-યુવક અને વૃદ્ધાના મૃતદેહને તેમના વાલીવારસોંને સોંપ્યા હતા. થરાદ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાંથી છાસવારે મૃતદેહ મળી આવવાની ઘટનાઓ જ્યારથી કેનાલમાં પાણી શરૂ થયું ત્યારથી બની રહી છે. આજ સુધીમાં અસંખ્ય લોકોની હત્યા,આત્મહત્યા અને આકસ્મિક મોતના બનાવો બની ચુક્યા છે.
થરાદ નગરપાલિકાના ફાયર ઓફીસર વિરમ રાઠોડે જણાવ્યું હતું કે પૂજા પાર્ક સોસાયટી સામેથી કેનાલમાંથી અગરબેન – ઉંમર 32 મૃતદેહ મળ્યો હતો. જ્યારે પારેગી ધરમશીભાઈ – ઉંમર 30 વર્ષનો મૃતદેહ ચૂડમેર પુલ ઢીમા પુલ વચ્ચેથી કેનાલમાંથી અને વાહતુબેન ઉંમર આશરે 60 વર્ષ નામના વૃદ્ધાનો મૃતદેહ નાગલા પુલ પરથી કેનાલમાંથી મળી આવ્યો હતો. આમ છેલ્લા 24 કલાકથી ઓછા સમયમાં ત્રણ લોકોના મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી હતી.
થરાદની નર્મદા કેનાલમાં પ્રથમ ઘટના મંગળવારે પહેલી ઘટનામાં પૂજા પાર્ક સોસાયટી સામેની કેનાલમાંથી 22 વર્ષીય યુવતીનો મૃતદેહ મળ્યો હતો. થરાદ નગરપાલિકા ફાયરબ્રિગેડને જાણ થતાં ફાયર ઓફિસર વિરમજી રાઠોડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. તપાસમાં યુવતી ડોડગામની હોવાનું અને તેનું નામ અગરબેન હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ મળેલા તમામ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડની ટીમ દ્વારા કેનાલમાં ત્રણ મૃતદેહ બહાર કાઢી તેના વાલી વારસોને સોંપવામાં આવ્યા હતાં, જેમાં પ્રથમ પૂજા પાર્ક સામે કેનાલ ખાતે તાત્કાલિક પહોંચી યુવતીનો મૃતદેહ બહાર કઢાયો અને તેના વાલી વારસોને સોંપ્યો હતો. એ બાદ ફાયર ટીમે ઢીમા પુલ અને ચૂડમેર પુલ પાસે યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. એ બાદ મોડીસાંજે સુધી શોધખોળ બાદ આજે વહેલી સવારે એક વૃદ્ધનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.


