નજીવી બાબતે રૂ.2 લાખની સોપારી આપી કરાવી હત્યા: 2 ફરાર આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન
પાલનપુર તાલુકાના સદરપુર ગામ ના નેળીયામાં અવાવરુ કૂવા પાસે એક ભાગીયા પર જીવલેણ હુમલો થયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસની 10 ટીમોએ તપાસ કરી હત્યાનો ભેદ ઉકેલતા ખેતર માલિકના ભાઈ સહિત ત્રણ આરોપીઓને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
સદરપુર ગામમાં ગત 11મી માર્ચ ના રોજ સાંજના સુમારે ડેરીમાં દુધ ભરાવી ખેતરમાં પરત આવતા પટેલ અમરતભાઇ ભીખાભાઇ ગામીના ભાગીયા ફુલાભાઇ ઉર્ફે કીરીટભાઇ કાવજીભાઇ ખરાડી ઉપર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જે ગુનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ 10 અલગ અલગ ટીમો બનાવી હતી. જે ટીમો દ્વારા 150 થી વધારે સી.સી.ટી.વી. કુટેજ તથા 215 થી વધારે શકાંસ્પદ વાહનો ચેક કરી ટેક્નિકલ અને હ્યુમન સોર્સથી ગુનાનો ભેદ ઉકેલવમાં આવ્યો હતો. જેમાં ખેતર માલિકના ભાઈ ગણેશભાઈ ભીખાભાઇ ગામીને મૃતક ભાગીયા સાથે કચરો ફેંકવા જેવી નાની બાબતે તકરાર થઈ હતી. જેને લઈને ગણેશભાઈ ભીખાભાઇ ગામીએ પોતાના ખેતરમાં કામ કરતા ભાગીયાઓને સોપારી આપી મૃતકની હત્યા કરાવી હોવાની વિગતો બહાર આવી હતી.
દરમિયાન, પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણે આરોપી ઓને ઝડપી લીધા હતા. જ્યારે બાકીના બે નાસતા ફરતા આરોપી ઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું એસ.પી. અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું.
ઝડપાયેલા આરોપીઓ
(૧) ગણેશભાઇ ભીખાભાઇ ગામી (પટેલ) રહે.પાલનપુર (સોપારી આપનાર મુખ્ય આરોપી)
(૨)શંકરભાઇ મેનાભાઇ ડુગાંચીયા (સોપારી લેનાર આરોપી)
(૩) ચકુરાભાઇ ઉર્ફે ચકુડો સમાભાઇ ભગોરા રહે.ખાટચીતરા (ખાપા) તા.અમીરગઢ (સોપારી લેનાર આરોપી)
ફરાર આરોપીઓ
(૧)સંજુભાઈ અમરાભાઇ ભગોરા રહે.ખાટચીતરા (ખાપા) તા.અમીરગઢ ( માર મારનાર ઇસમ)
(૨)દિનેશભાઇ ધનાભાઇ ભગોરા રહે.ઉપલા ખાપા તા.અમીરગઢ ( માર મારનાર ઇસમ )

