જીએસબી ૨૭થી ૩૧ ઓગસ્ટ સુધી તેનો પાંચ દિવસનો ગણેશોત્સવનું આયોજન કરશે : જીએસબીના દેવતાને ૬૬ કિલો સોનાના આભૂષણો અને ૩૩૬ કિલો ચાંદીથી શણગાર
મુંબઈના સૌથી ધનિક ગણેશ પંડાલ જીએસબી સેવા મંડળ, કિંગ્સ સર્કલે આ વર્ષે રેકોર્ડ ૪૭૪.૪૬ કરોડ રૂપિયાનો વીમો કરાવ્યો છે. જ્યારે ગત વર્ષની પોલિસી ૪૦૦ કરોડ રૂપિયાની હતી. આ વધારો સોના અને ચાંદીની વસ્તુઓની વધતી કિંમતો અને વધુ સ્વયંસેવકો અને પૂજારીઓની ભરતીના કારણે થયો છે. મંડળે Non-Disclosure કરારનો હવાલો આપતા પ્રીમિયમ રકમનો ખુલાસો નથી કર્યો. ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ દ્વારા આપવામાં આવેલી વીમા પોલિસીમાં સોના-ચાંદીની વસતુઓ, વ્યક્તિગત દુર્ઘટના કવર, આગ અને ભૂકંપ જેવા અન્ય જોખમો અને જાહેર જવાબદારીનો સામેલ છે. ૪૭૪ કરોડ રૂપિયાની ઓલ-રિસ્ક વીમા પોલિસી, જેમાં સોના, ચાંદી અને રત્નો સામેલ છે, તેની કિંમત ૬૭ કરોડ રૂપિયા છે, જે ૨૦૨૪માં ૪૩ કરોડ રૂપિયા અને ૨૦૨૩માં ૩૮ કરોડ રૂપિયા હતી. સૌથી વધુ ૩૭૫ કરોડ રૂપિયા વ્યક્તિગત દુર્ઘટના વીમા માટે છે અને તેમાં સ્વયંસેવકો, પૂજારીઓ, રસોઈયાઓ, સેવકો અને સુરક્ષા ગાર્ડોને કવર કરવામાં આવ્યા છે.
ભૂકંપ સહિત પ્રમાણભૂત આગ અને વિશેષ જોખમ કવર રૂ. ૨ કરોડ છે, જે છેલ્લા વર્ષોથી બદલાયું નથી. પંડાલો, સ્ટેડિયમ અને ભક્તો માટે ૩૦ કરોડ રૂપિયાનો જાહેર જવાબદારી વીમો છે. આયોજન સ્થળ પરિસર માટે પ્રમાણભૂત આગ અને ખાસ જોખમ કવર માટે ૪૩ લાખ રૂપિયા સામેલ છે. GSB સેવા મંડળના અધ્યક્ષ અમિત પઈએ જણાવ્યું કે, સોના અને ચાંદીના ભાવમાં વધારો આ વધેલી રકમ માટે જવાબદાર છે. સ્વયંસેવકો અને પૂજારીઓને પણ આમાં સામેલ કરવામાં આવ્યા છે. ૨૦૨૪ના ગણેશોત્સવમાં મુંબઈમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૭૭,૦૦૦ રૂપિયા હતો. હાલમાં ભાવ વધીને ૧,૦૨,૦૦૦ રૂપિયા થઈ ગયો છે. જીએસબીના દેવતાને ૬૬ કિલો સોનાના આભૂષણો અને ૩૩૬ કિલો ચાંદીથી શણગારવામાં આવ્યા છે. જીએસબી ૨૭થી ૩૧ ઓગસ્ટ સુધી તેનો પાંચ દિવસનો ગણેશોત્સવનું આયોજન કરશે. આ વર્ષે મંડળે પ્રવેશ વ્યવસ્થામાં ફેરફાર કર્યા છે અને પૂજા દાતાઓ માટે પ્રવેશની વ્યવસ્થા વધારી દીધી છે.

