વિપક્ષે સરકારને ઘેરવાની સંપૂર્ણ રણનીતી ઘડી : 8 થી વધુ બિલ રજુ કરાશે : ‘ઓપરેશન સિંદુર’ અંગે વિપક્ષના સવાલોના જવાબ આપશે મોદી સરકાર : હોબાળો થવાના એંધાણ
સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્રમાં વિપક્ષે સરકારને ઘેરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. વિપક્ષ ઓપરેશન સિંદૂર અંગે પણ સરકારને સવાલ કરશે. સાથે જ સરકારે વિપક્ષને જવાબ આપવા માટે પણ રણનીતિ બનાવી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નિવાસસ્થાને એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, જેપી નડ્ડા, પીયૂષ ગોયલ, કિરેન રિજિજુ, મનોહર લાલ, એલ મુરુગન, અર્જુન રામ માઘવાલ, સીઆર પાટિલ અને અન્ય ઘણા નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, એનએસએ અજિત ડોભાલ, સીડીએસ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ પણ સંરક્ષણ પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
તે જ સમયે, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ટીએમસી, આરજેડી અને અન્ય વિપક્ષી પક્ષો ઘણા મુદાઓ પર સરકારને ઘેરવા માટે તૈયાર છે. વિપક્ષ પાસે એસઆઈઆરનો મુદો પણ છે. તેમનું કહેવું છે કે ચૂંટણી પહેલા મતદાર યાદીમાં આ સુધારો ફક્ત ભાજપના મતો વધારવા માટે કરવામાં આવી રહ્યો છે. આ ચોમાસુ સત્રમાં, સરકાર ઘણા બિલ રજૂ કરી શકે છે અને તેમને પસાર કરાવવાનો પ્રયાસ કરી શકે છે. આમાં મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ સુધારો બિલ 2025, જન વિકાસ બિલ 2025, ત્ત્પ્ સુધારો બિલ 2025, કરવેરા કાયદા બિલ 2025, જીઓ હેરિટેજ સાઇટ્સ અને જીઓ અવશેષો બિલ 2025, ખાણ અને ખનીજ સુધારો બિલ 2025, રાષ્ટ્રીય રમતગમત શાસન બિલ અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુધારા બિલનો સમાવેશ થાય છે.
અગાઉ, સોનિયા ગાંધીએ કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠક પણ બોલાવી હતી. આ સત્ર તોફાની બનવાની પણ અપેક્ષા છે. કોંગ્રેસ પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર અને ત્યારબાદની રાજદ્વારી પ્રવૃત્તિઓ પર ચર્ચાની પણ માંગ કરી રહી છે. સરકારે જાહેરાત કરી છે કે સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, જે અગાઉ નિર્ધારિત સમય કરતાં એક અઠવાડિયા લાંબો રહેશે. આ એક મોટો કાયદાકીય એજન્ડા દર્શાવે છે. અગાઉ આ સત્ર 12 ઓગસ્ટના રોજ સમા(81) થવાનું હતું પરંતુ હવે તેને એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે. લાંબા ગાળાનું સત્ર એવા સમયે થઈ રહ્યું છે જ્યારે સરકાર પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રના પ્રવેશને સરળ બનાવવા સહિત અનેક મોટા બિલ રજૂ કરવાની યોજના બનાવી રહી છે. ખાનગી ક્ષેત્ર માટે પરમાણુ ક્ષેત્ર ખોલવાની કેન્દ્રીય બજેટ જાહેરાતને અમલમાં મૂકવા માટે સરકાર ‘ન્યુક્લિયર ડેમેજ એક્ટ માટે નાગરિક જવાબદારી’ અને ‘પરમાણુ ઉર્જા કાયદા’માં સુધારો કરવાની યોજના બનાવી રહી છે.

