બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર, ચંડીસર, અંબાજી સહિત જિલ્લાનાં અનેક સ્થળોએ મોકડ્રીલ તેમજ સ્વયંભૂ બ્લેક આઉટ; પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં 26 નિર્દોષ ભારતીય પ્રવાસીઓની હત્યાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે ગત રાત્રે ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર ચલાવી પાકિસ્તાન તેમજ પીઓકે વિસ્તારમાં એર સ્ટ્રાઈક કરી હતી, જેમાં હિઝબુલ મુઝાહિદ્દીન,લશ્કરે તોયબા અને મસૂદ અઝહરના આતંકી ઠેકાણાઓ પર હુમલા કરાયા હતાં. જેમાં 90 જેટલા આતંકીઓ માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાન જો ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કરે તો આવી યુધ્ધની સ્થિતિમાં ભારતના નાગરિકોએ સલામતી માટે શું પગલાં લેવા ? તે અંગે સરકાર દ્વારા ગુજરાતના 16 જિલ્લા સહિત દેશભરના અનેક સ્થળોએ ઓપરેશન યુધ્ધ અભ્યાસ હેઠળ મોકડ્રીલ તેમજ બ્લેક આઉટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાનાં ચંડિસર, પાલનપુર અને અંબાજી સહિત રાજ્યભરમાં લોકોને સાયરન સ્થિતિની તેમજ યુધ્ધ સમયે લોકોએ સલામતી માટે શું કરવું જોઈએ ? તેની ખાસ સમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપાઈ હતી. તેમજ સાંજે 7.45 થી 8.15 દરમિયાન જિલ્લાવાસીઓ તંત્રની સુચના મુજબ પોતાના ઘરો, ધંધા – રોજગારની લાઈટ બંધ રાખી હતી.
સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, ભારત સરકારની સૂચના બાદ ગુજરાત સહિત જિલ્લામાં પણ ત્રણ જગ્યાએ મોકડ્રિલ કરવામા આવી. તેના ભાગરૂપે હાલમાં પાલનપુર નગરપાલિકા ખાતે વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલનુ આયોજન કરાયુ.જેમાં નાગરિકોને યુદ્ધ સમયની સ્થિતિ વિશે સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને સાયરન શુ છે અને જ્યારે સાયરન વાગે ત્યારે લોકોએ શુ કરવુ ? તેની માહિતી આપવામાં આવી હતી.આ અંગે માહિતી આપતા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિવિલ ડિફેન્સ સાયરન એ ચોક્કસ નિયમો હેઠળ કામ કરતું હોય છે.જેમાં ૨ મીનીટ સુધી ફોલીંગ અને રાઇઝિંગ એટલે કે સાયરનનો અવાજ ધીમો – વધારે થાય છે.એટલે કે સમયે ૫-૧૦ મિનિટમાં એરસ્ટ્રાઇક થવાની સંભાવના હોય છે.તેથી લોકોએ સલામત સ્થળે ખસી જવા માટેની ચેતવણી રૂપ છે.જ્યારે સળંગ ૨ મિનિટ સુધી સાયરન વાગે છે તો એનો મતલબ એરસ્ટ્રાઈક પૂરી થઈ ગઈ છે.એટલે કે સુરક્ષિત છીએ તે સંદેશ આપવા માટે છે.વહીવટી તંત્રએ લોકોને યુદ્ધની પરિસ્થિતિમાં કેવી રીતે સુરક્ષિત રહેવું ? તેની તાલીમ આપવા સાથે લોકોને જાગૃતિ આપવા માટેની તમામ તૈયારીઓ હાલ તો હાથ ધરાઈ છે.
પાલનપુર નગરપાલિકામાં મોકડ્રિલ યોજાઈ
પાલનપુર નગરપાલિકામાં યુદ્ધ અભ્યાસ અંતર્ગત સાયરન ડેમોસ્ટ્રેશન યોજાયું હતું.જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર જીગર પટેલ દ્વારા યુદ્ધ સમયે વાગતા સાયરનની સમજ અપાઈ હતી. સાયરન ડેમોસ્ટ્રેશન સમયે નગરજનો ,પાલિકા કર્મચારીઓ, નગરસેવકો ઉપસ્થિત રહ્યા. જે દરમિયાન ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર પૂર્વ પોલીસ મથકના પી.આઈ. સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
યુધ્ધ સમયે કેવું સાયરન વાગી શકે છે તે જાણો
આ અંગે પાલનપુર નગરપાલિકાનાં ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું કે, જો યુધ્ધ સમયે સાયરનનો અવાજ વારંવાર ઓછો વધારે થતો સંભળાય તો તે હુમલાની શક્યતાનો સંકેત હોઈ શકે છે, જ્યારે સાયરન સળંગ ઊંચા અવાજે એક જ સ્થિતિમાં લાંબા સમય સુધી સંભળાય તો ખતરો ટળી ગયો હોવાનો સંકેત હોઈ શકે છે. તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું.
યુધ્ધની સ્થિતિમાં નાગરિકોએ લિફ્ટનો ઉપયોગ ટાળવો, સલામતીના પગલાં લેવા
યુધ્ધ જેવી સ્થિતિમાં લોકોએ સલામતીના અનેક પગલાં લેવા જિલ્લા વહીવટી તંત્રે ખાસ અનુરોધ કર્યો છે. જો યુધ્ધ થાય તો સંભવિત ખતરાને ધ્યાને લઇ લીફ્ટનો ઉપયોગ કરવાને બદલે પગથિયાંનો ઉપયોગ કરો, તેમજ વડીલો,દિવ્યાંગો તેમજ બાળકોની સલામતી માટે ખાસ તકેદારી રાખવાની સલાહ પણ આપી હતી.