કેન્દ્રીય ગૃહ મંત્રાલય એ દેશના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે. ત્યારે ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આગામી 7, મેના રોજ ‘એર રેઇડ સાયરન’ સંબંધિત મોક ડ્રીલ યોજવા માટે સૂચના આપવામાં આવેલ. આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. જે અંતર્ગત જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને મહેસાણા જિલ્લાના મહત્વના 5 સ્થળો પર મોકડ્રિલ અને બ્લેક આઉટનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા કક્ષાએ ગતરોજ સાંજે ચારથી આઠ કલાક સુધી મહેસાણા જિલ્લામાં આકસ્મિક સ્થિતિમાં યુધ્ધ, હવાઇ હુમલા જેવી સ્થિતિમાં પહોંચી વળવા માટે 07 મે બુધવારે સાંજે ચારથી આઠ કલાક દરમિયાન મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોને આ બાબતે જાગૃત કરવામાં આવ્યા હતાં.
ગતરોજ સાંજે 07-45 કલાકથી 30 મિનીટ સુધી બ્લેક આઉટ (અંધારપટ) કરવામાં આવ્યો હતો. જેમાં સ્ટ્રીટ લાઇટો બંધ કરવામાં આવશે જેથી નાગરિકોમાં ભય ન સર્જાય તેમજ આ બાબતે જાગૃતિ આવે તે જરૂરી છે. આ તકે જિલ્લાના વિવિધ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ મોકડ્રીલ દરમિયાન કંટ્રોલ રૂમ 02762-222220 શરૂ કરવામાં આવ્યો છે, આ બાબતે ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શાળા કક્ષાએ પણ માર્ગદર્શન આપી જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મોકડ્રીલ દરમિયાન ત્રણ પ્રકારની સાયનર વગાડવામાં આવ્યા હતા અને આ સમયમાં નાગરિકોમાં ભય કે અરાજકતા ન ફેલાય તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સમયે દવાનો જથ્થો, પુરવઠો સહિતનું સંતુલન જળવાય તે માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં જિલ્લામાં સાંસદસભ્ય, ધારાસભ્ય તેમજ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહી મોકડ્રીલ દ્વારા જાગૃતિ પ્રાપ્ત કરી હતી.
મહેસાણા જિલ્લામાં ધરોઇ ડેમ, દૂધ સાગર ડેરી, વડનગર, બેચરાજી મારૂતિ પ્લાન્ટ, ઊંઝા એ.પી.એમ.સી જેવા સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત જી.આઇ.ડી.સી., ઓ.એન.જી.સી, રેલ્વે, મહાનગરપાલિકા સ્થળોએ સાયરન માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, આ મોકડ્રિલ યોજવાનો ઉદ્દેશ કઠિન પરિસ્થિતિમાં જાહેર જનતા કઈ રીતે સરકારને મદદરૂપ થઈ શકે તે સુનિશ્ચિત કરવા સાથે સ્થાનિક તંત્ર સાથે સહયોગ સાધવા માટેનો છે. આ મોકડ્રીલથી નાગરિકોને ડર કે ભય અનુભવવાની જરૂરિયાત નથી.