પાટણ જિલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સોમવારે સાંતલપુર તાલુકાના છેવાડાના ગામોની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી. પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ લોકો વચ્ચે જઈ લોક સંવાદ કરી લોકોની સમસ્યા સાંભળી તેનું નિરાકરણ લાવવા સંબધિત વિભાગના અધિકારીઓને સૂચન કર્યું હતું. મુલાકાતના અંતે મંત્રીએ તમામ અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક યોજી હતી.તાજેતરમાં મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માને સાંતલપુર તાલુકામાં પીવાના પાણીની સમસ્યા હોવાની રજૂઆત મળી હતી. જેના ભાગરૂપે તાલુકામાં પાણીના પ્રશ્નોની સમીક્ષા, સ્થળ ચકાસણી અને પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા પ્રભારી મંત્રીએ આજે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર,જિલ્લા કલેકટર તુષાર કુમાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે નાયી સહિત વહીવટીતંત્રના તમામ વિભાગના અધિકારીઓ સાથે સાંતલપુર તાલુકાના ફાંગલી, વરણોસરી, ઝઝામ અને કિલાણા ગામની મુલાકાત લીધી હતી. લોકોની વચ્ચે જઈ લોક સંવાદ કરી તેમની સમસ્યાઓ અને પ્રશ્નો સાંભળ્યા હતા.
ગ્રામજનોએ મંત્રી સાથે સંવાદ કરતાં પીવાના પાણી, તળાવો ભરવા, રોડ રસ્તા, હાઇવે સુધીના રોડનું જોડાણ, વીજળી, આરોગ્ય, શાળાના ઓરડા, શિક્ષકોની ઘટ, કેનાલોની સફાઈ, ગામમાં આરોગ્યની સુવિધા, સબ સેન્ટર બનાવવા, ધોરણ પાંચ પછી આગળ અભ્યાસ માટે નજીકના સ્થળે શાળાની વ્યવસ્થા ઊભી કરવા જેવી અનેક સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરી હતી. વરણોસરી ગામ નજીક સાયરનની સફાઈ બાબતે મળેલ રજૂઆતના સંદર્ભે મંત્રી એ સાયફનની મુલાકાત કરી જવાબદાર અધિકારીઓને સફાઈ અને તેના દ્વારા પાણી પહોંચાડવા સૂચન કર્યું હતું.મંત્રીએ ગ્રામજનો સાથે લોક સંવાદ કરતા કહ્યું કે ગાંધીનગર બેસીને મને તમારી મુશ્કેલીનો અનુભવ ન થાય એટલે તમારી વચ્ચે આવ્યો છું. તમારા સુખ દુઃખમાં ભાગીદાર થવા અને આવા ઉનાળામાં તમને કેવી તકલીફ પડે છે એ જાણવા આવ્યો છું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના ગામના લોકોની ચિંતા કરી નર્મદાના જળ અહી સુધી પહોંચાડયા છે. “સરકાર તમારા આંગણે” અભિગમ અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર ગામડામાં જઈ લોકોની સમસ્યા સાંભળે છે. જેના ભાગરૂપે આજે ધારાસભ્ય અને કલેકટરથી માંડી તમામ સરકારી વિભાગના અધિકારીઓ તમારી સમસ્યાઓનું સમાધાન શોધવા તમારા આંગણે આવ્યા છીએ. મંત્રીએ પિયત મંડળીઓને કાર્યરત કરવા અને કેનાલમાંથી પરમિશન વગર પંપ દ્વારા પાણી ન ખેંચવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. તેમજ તમારી સમસ્યાઓનો અંત ઝડપથી આવશે એવી ખાતરી આપી હતી.