ઊંઝા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,ઉપેરા દ્વારા “આયુષ્માન કાર્ડ” કેમ્પ યોજી ગામલોકોને કાર્ડ કાઢી અપાયા
ઊંઝા તાલુકાના ઉપેરા ગામમાં આયુષ્માન કાર્ડ કઢાવવા માટેનો કેમ્પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉપેરા દ્વારા યોજવામાં આવ્યો હતો.ઉપેરા ગામમાં આવેલ સ્વામી વિવેકાનંદ હોલમાં સવારના 9 વાગ્યાથી આયુષ્માન કાર્ડ કઢાવવા માટે ગ્રામજનોનો ધસારો જોવા મળ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભારત સ્વાસ્થ્ય મિશન હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી હતી . યોજના હેઠળ, આર્થિક રીતે નબળા પરિવાર, બીપીએલ પરિવાર અને કામદારો માટે 5 લાખ સુધીનો મફત આરોગ્ય વીમો આપવામાં આવે છે. આ તમામ આરોગ્ય વીમો ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મેળવી શકાય છે . આયુષ્માન ભારત દ્વારા અધિકૃત હોસ્પિટલોમાં સરકાર દ્વારા મફત તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ગુજરાત રાજ્યના તમામ પાત્ર પરિવારો કે જેઓ યોજના હેઠળ પાત્ર છે તેઓ મફત સારવાર મેળવી શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતમાં આયુષ્માન ભારત યોજના દ્વારા ગરીબ પરિવારો, બીપીએલ પરિવારોને અને મજૂરો માટે 5 લાખ સુધી કેસલેસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં ગંભીર રોગો માટે સારવાર અને ખર્ચાળ તપાસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં હાર્ટ સર્જરી, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, સીટી સ્કેન જેવી મોંઘી સારવાર આયુષ્માન કાર્ડ દ્વારા કરાવી શકાય છે.