ઊંઝા પાલિકા પ્રમુખ દિક્ષિત પટેલના નેતૃત્વમાં વર્ષો જૂના ફ્લકુ નાળાની સમસ્યા હલ કરવા પ્રયત્નો શરૂ
ઊંઝા શહેરમાં વર્ષોથી ફલકુ નાળાનો પ્રશ્ન શીરદર્દ સમાન બનેલો છે. ત્યારે વર્ષો જુના આ શિરદર્દ સમાન પ્રશ્ન ને ઉકેલવા માટે નગરપાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે પ્રયત્નો હાથ ધર્યા છે. વર્ષો પછી પ્રથમ વાર નગરપાલિકા દ્વારા આ પ્રશ્નના ઉકેલ માટે ચક્રો ગતિમાન થયા છે ત્યારે પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલ ડીડી દ્વારા સેપ્ટ યુનિવર્સિટીના ડાયરેક્ટરને પત્ર લખીને ફલકું નાળાના પ્રશ્નને સ્ટડી કેસ તરીકે લેવા માટે પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. આ અંગે ઊંઝા પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે જણાવ્યું છે કે, વર્ષોથી આ ફલકું નાળુ એ સમગ્ર શહેરનો ખૂબ જ ગંભીર મુદ્દો રહ્યો છે.
કામલી થી ઉનાવા તરફ જતા આ ફલકુ નાળુ શહેરને ચીરીને શહેરના મધ્યમાંથી પસાર થાય છે. તેને પરિણામે અહીં પાણી ભરાવાથી ગંદકી અને બીમારીનો લોકો ભોગ બને છે. ત્યારે આ પેચીદો પ્રશ્ન જેમ બને તેમ ઝડપથી ઉકેલાય તે નગરજનોના હિત માટે છે. જેને ધ્યાનમાં રાખીને અમે પાલિકા દ્વારા સેપ્ટ યુનિવર્સિટીને આ કેસ પર સ્ટડી કરવા ભલામણ કરી છે. ફલકુ નાળાના પ્રશ્નને વિઝન સાથેનું મિશન બનાવવાના હેતુથી સેપ્ટ યુનિવર્સિટીને પત્ર લખી ભલામણ કરનાર દિક્ષિતભાઈ પટેલે વધુમાં જણાવ્યું છે કે, આ ફલકું નાળા પર જો બ્યુટીફિકેશન થઈ શકે તો તેની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવીને સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને તેના માટે ગ્રાન્ટ મંજૂર કરાવવાના પ્રયત્નો હાથ ધરાશે.જો સેપ્ટ યુનિવર્સિટી તરફથી હકારાત્મક પ્રતિભાવ મળશે તો પાલિકા અને સરકાર સાથે મળીને ઊંઝાના વર્ષો જૂના પ્રાણ પ્રશ્નને ઉકેલવાની દિશામાં સફળ પ્રયત્નો કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.