વિસનગરમાં કલરફૂલ સાથીયા બનાવવા અને આંગણાને સુશોભિત કરવા જુદા જુદા રંગ ખરીદવા ઘસારો
દિવાળીના તહેવારોમાં વિવિધ ફટાકડાઓથી આકાશ તો રંગીન બને છે, પરંતુ પોતાના આંગણાઓને સુશોભિત કરવા માટે મહિલાઓ વિવિધ રંગોથી રંગોળી સજાવી દિવાળીની ઉજવણી કરે છે. જેને લઇ રંગોળીથી દિવાળીની ઉજવણી કરવા માટે વિસનગર શહેરમાં નાના-નાના વેપારીઓએ વિવિધ રંગોની હાટડીઓ માંડી છે અને મહિલાઓ દિવાળીને રંગીન બનાવવા ખરીદી પણ કરી રહી છે, પરંતુ ગત વર્ષ કરતા આ વર્ષે વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેવું વેપારીએ જણાવ્યું હતું.
અસત્ય પર સત્યનો અને રાક્ષસીવૃત્તિ પર દૈવી શક્તિનો વિજય મેળવી ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા ત્યારે સમગ્ર અયોધ્યા નગરીને શણગારવામાં આવી હતી. ત્યારથી દિવાળી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ઘરે ઘરે દિવાળી મહોત્સવમાં દીવડા પ્રગટાવી રંગોળીઓ બનાવવાની પરંપરા રહી છે જે હજુ સુધી ચાલી રહી છે. ત્યારે આ વર્ષે પણ દિવાળી મહોત્સવમાં પોતાના ઘરોને સુશોભિત કરવા અને શણગારવા માટે મહિલાઓ કલરફૂલ સાથીયા બનાવે છે. તેમજ ઘરના આંગણામાં પણ વિવિધ પ્રકારના રંગોથી રંગોળી બનાવી ઘરને સજાવે છે. ત્યારે દિવાળીના તહેવારોમાં નાના નાના વેપારીઓ વિવિધ રંગોની હાટડીઓ માંડી છે. જેમાં મહિલાઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.વેપારીઓના જણાવ્યા અનુસાર ગત વર્ષ કરતા આ વર્ષે રંગોની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમજ મોલ અને ઓનલાઇન ખરીદીને કારણે નાના વેપારીઓ પાસેથી ખરીદી ઓછી થતા નુકસાન પણ પડી રહ્યું છે.