![rakhewal](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/04/726315bhufdsbfsbfye.jpg)
ઉત્તર ગુજરાતમાં વરસાદ રિસાયોઃ ખેડૂતો ચિંતાતુર : વાવણી નિષ્ફળ જવાનો ડર
રખેવાળન્યુઝ મહેસાણા : ગુજરાતમાં ચાલું વર્ષે તો સમયસર વરસાદ આવ્યા બાદ હવે પાછતરો વરસાદ ખેંચતા મહેસાણા જિલ્લાના ઉંઝા, ખેરાલુ, સતલાસણા તાલુકામાં મોટી મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતનો સૌથી મોટો જિલ્લા એટલે મહેસાણાના ખેડૂતો ચિંતાના ઓથર નીચે દટાયા છે. જિલ્લામાં આ વખતે ૧૫ દિવસ પહેલા જ વાવણી લાયક વરસાદ આવ્યા બાદ ખેડૂતપુત્રોએ ખુશખુશાલ થઈને વાવણી કરી નાંખી હતી. પરંતુ વાવણી કર્યાના ૧૫ દિવસ પછી વરસાદ ખેંચાઈ જતા ખેંડૂતોને વાવણી ફેલ થઈ જવાનો ડર સતાવી રહ્યો છે.જા હજૂ આગામી ૧૫ દિવસ વરસાદ નહીં આવે તો ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે કપરાં ચઢાણ ઉભા થશે. બીજી બાજુ હજુ પણ વરસાદ ખેંચાશે કે નહીં તેને લઈને અલગ અલગ અટકળો વચ્ચે ખેડૂતો ફસાયા છે. મહેસાણા જિલ્લામાં અંદાજીત પંદર દિવસ પહેલા વાવણી લાયક વરસાદ વરસતા જિલ્લાના અનેક ધરતી પુત્રો દ્વારા પોતાના ખેતરમાં વાવણી કરી હતી પરંતુ હવે વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક બળી જવાને આરે આવી જતા ખેડૂતની ઊંઘ પણ ઉડી ગઈ છે
ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે ખેડૂતોએ મોંઘા ભાવના ટ્રેકટર દ્વારા ખેડ તેમજ મોંઘવારીના ભાવ વચ્ચે મોંઘું બિયારણ વાવીને ખેડૂતો બેઠા છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે તેવા સમયે અનેક દિવસોથી માર્કેટયાર્ડ બંધ રહેતા અને અન્ય કારણોસર ખેડૂતોને પોતાની ઉપજનું યોગ્ય વળતર મળ્યું ન હતું, પરંતુ મહેસાણા જિલ્લામાં પંદર દિવસ પહેલા વરસાદે પધરામણી કરતા અને આ વરસાદ વાવણી લાયક હોઈ ધરતી પુત્રો દ્વારા હોંશે હોંશે એરંડા, તલ, બાજરી, તેમજ કઠોળ વર્ગના પાકોનું વાવેતર કર્યું. પરંતુ આજે ૧૫ દિવસ થવા આવ્યા છતાં પણ આજે વરસાદ ખેંચાતા આજે ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. જા હજી પણ વરસાદ ખેંચાય તો ચોક્કસ ખેડૂતે કરેલ વાવણી બરબાદ થઈ શકે છે જેથી ખેડૂતોને ભારે નુક્શાન વેઠવાનો વારો આવી શકે છે.