![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/01/orig_166_1611862816.jpg)
પોષી પૂનમ,ગજકેસરી યોગના સમન્વય વચ્ચે ઊંઝામાં મા ઉમાના દર્શન માટે ભક્તોમાં તાલાવેલી
પોષી પૂનમ એટલે માં અંબા માતાજીનો પ્રાગટય દિવસ અને ગજ કેસરી યોગનો વર્ષમાં એકાદ વખત જ શુભ સમન્વય થતાં આ દિવસે દેવ દર્શન અને ધાર્મિક પૂજનનું મહત્વ અનેરું હોઇ ગુરુવારે પૂનમે માઇ ભક્તોએ સવારથી જ ઉમિયા માતાજી મંદિરે દર્શન માટે લાંબી કતારો લગાવી હતી.માઇભક્તોને માતાજીના દર્શન સરળતાથી થાય એ માટે વ્યવસ્થા દેવસ્થાન કમિટી ચેરમેન પટેલ ગોવિંદભાઇ દ્વારા ગોઠવાઈ હતી. સહમંત્રી મુકેશભાઈ બડુના જણાવ્યા પ્રમાણે બાયડ તાલુકાના ચોઈલા ગામના સંઘે ઉમિયા માતાજી મંદિર શિખરે 151 ફૂટ લાંબી ધજા આરોહણ કરી હતી.તેમજ અન્ય 21 ધજાઓ નિજ શિખરે માઇભક્તોએ અર્પણ કરી હતી.ઉત્તર ગુજરાતમાંથી 11 થી વધુ સંઘો માંડવી સાથે નિજ મંદિર પધાર્યા હતા. ઉમિયા માતાજી સ્વાગત કમિટી ચેરમેન દશરથભાઈ બજરંગના જણાવ્યા પ્રમાણે અંદાજિત 55 હજારથી વધુ દર્શનાર્થીઓએ દર્શનનો લ્હાવો લીધો હતો.સહમંત્રી વસંતભાઈ કેપ્ટનના જણાવ્યા મુજબ દર પૂનમે દાતાઓ દ્વારા દર્શનાર્થીઓને 200 લીટરથી વધુ ચા વિના મૂલ્યે પીવાડાવાય છે, તેમજ પૂનમે મિષ્ટાન સાથે ના ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી જેનો અંદાજિત 5 હજાર દર્શનાર્થીઓએ લાભ લીધો.વિશેષમાં સંસ્થાન માનદ મંત્રી દિલીપભાઈ નેતાજી એ જણાવ્યું કે સંસ્થાન દ્વારા પાવડી પૂજા તહેવાર કે પર્વ દિવસે બંધ હતી,જે પૂનમથી ચાલુ કરાઈ હતી. 51 થી વધુ માઈ ભક્તો એ ઉમિયા માતાજી ની પાદુકા પૂજા (પાવડી પૂજા) નો લ્હાવો લીધો હતો.ઉમિયા માતાજીને ફૂલોની વિશેષ આંગી કરાઈ હતી.