![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/07/RWRWRW.png)
મહેસાણાઃ નંદાસણ પાસે અકસ્માતમાં પંજાબના બે લોકોના મોત
અમદાવાદ મહેસાણા હાઇવે પર નંદાસણ નજીક ધનાલી પાટીયા પાસે રવિવારે મોડીરાત્રે ટ્રેલર પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માતમાં પંજાબના ડ્રાઇવર અને ક્લિનરનું મોત નીપજ્યુ છે. ઘટનાને લઇ ગઇકાલે સવારે હાઇવે પર થોડીકવાર માટે ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા નજીક નંદાસણના ધનાલી પાટીયા પાસે માર્ગ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયા છે. ગઇકાલે સવારના પાંચેક વાગ્યાના સુમારે ફરીયાદી પંચમુર્તિ રંગાસ્વામી(ઉ.વ.46, ધંધો ડ્રાઇવર, રહે. 23,નોર્થ સ્ટ્રીટ, ગામ આર્કેડ, જીલ્લો, થંજાવુર, રાજ્ય-તમીલનાડુ) પુલર ટ્રેક્ટરનો તથા પાછળ મલ્ટી એક્સલ ટ્રેઇલર જેમાં કોલમ ડીમેથીનાઇઝર લોડ હોય તે મલ્ટી એક્સલ ટ્રક અમદાવાદ-મહેસાણા હાઇવે રોડ ઉપર કલોલથી નંદાસણ થઇને ઘનાલી પાટીયા પાસે ઓનેસ્ટ હોટલ આવતા પહેલા થોડે દૂર રોડ ઉપર ઉભુ રાખેલ હતુ.
આ દરમ્યાન એક ટ્ર્ક નંબરના ચાલક જોગાસીંગ દયાલસીંગ જાટ (ઉ.વ.૪૦ રહે. ગામ-જોરસીંગવાલા, પોસ્ટ-બરવાલા, તાલુકા-પટ્ટી, જીલ્લો-તરન તારણ રાજ્ય- પંજાબ)એ પોતાના કબ્જાનુ ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પાછળથી ટક્કર મારી ગંભીર અકસ્માત કરી પોતાના શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી પોતાનુ તથા તેમા બેઠેલ ટ્રક્નો ક્લીનર ગુરસીપસિંગ મંગલસીંગ જાટ (ઉ.વ.૪૦ રહે. ગામ-ચીમાકાલન, તા.જીલ્લો-તરન તારણ રાજ્ય- પંજાબ) બન્નેનુ સ્થળ ઉપર મોત નીપજ્યુ હતું. ઘટનાને લઇ પંચમુર્તિ રંગાસ્વામી(તમીલનાડુ, ડ્રાઇવર)ની ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.