મહેસાણામાં સ્વ. મહાદેવભાઈ નાથુભાઈ ચૌધરી વાંચનાલયનું રાજ્યપાલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહેસાણા ખાતે આંજણા યુવક મંડળ સંચાલિત સ્વ મહાદેવભાઈ નાથુભાઈ ચૌધરી વાંચનાલયનું ઉદ્દઘાટન કરતાં જણાવ્યું હતું કે, શિક્ષિત – સંસ્કારી સમાજ દ્વારા જ સમાજ શ્રેષ્ઠીઓનું નિર્માણ થાય છે. રાજ્યપાલએ આ અવસરે ધર્મપરાયણ-સંસ્કારી ભાવિ પેઢીના નિર્માણ માટે પુસ્તકાલયો અને શિક્ષણ સંસ્થાઓના નિર્માણ માટે સમાજના આગેવાનોને આહ્વાન કર્યું હતું.રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે કન્યા કેળવણીને અતિ આવશ્યક ગણાવી રાજ્યપાલએ કહ્યું હતું કે, એક શિક્ષિત દીકરી લગ્ન પહેલાં પિતાનું અને લગ્ન બાદ પતિના કુળનું એમ બે કુળનું ગૌરવ વધારે છે. તેમણે દીકરા-દીકરીના ભેદભાવથી દૂર રહીને સ્ત્રીભ્રુણ હત્યા, દહેજ પ્રથા જેવા દુષણોથી સમાજને મુક્ત કરવા સૌને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલએ આ પ્રસંગે પર્યાવરણની સુરક્ષા માટે અને ગ્લોબલ વૉર્મિગ જેવી સમસ્યાઓથી મુક્તિ મેળવવા વૃક્ષારોપણ અને જળસંચય માટે સૌને આગ્રહ કર્યો હતો, તેમણે દાન, પુણ્ય અને ધર્મકાર્ય માટે ખર્ચાતા ધનની ગતિને સર્વોત્તમ ગણાવી પુસ્તકાલય જેવી શિક્ષણ સંસ્થાઓના નિર્માણ માટે આંજણા યુવક મંડળના સૌ સભ્યોને અભિનંદન પણ પાઠવ્યા હતા.રાસાયણિક કૃષિના દુષ્પરિણામો તરફ આંગળી ચીંધતા રાજ્યપાલ એ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનાં અંધાધુંધ ઉપયોગને કારણે જમીન વેરાન બનતી જાય છે. પર્યાવરણ પ્રદુષિત બન્યું છે. પ્રદુષિત ખાદ્યાન્નના ઉપયોગને કારણે કેન્સર, હ્રદય રોગ, ડાયાબિટીસ, કીડનીના રોગનું પ્રમાણ વધતું જાય છે. તેમણે રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં સાડા આઠ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે.