![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-226.jpg)
કડીમાં પાલિકાએ 48 રખડતા ઢોરોને પાંજરે પુર્યા
કડી શહેરના ભાઉપુરા, ભાગ્યોદય, ભીમનાથ મહાદેવ, બાલાપીર,નાનીકડી જેવા અનેક વિસ્તારોમાં ગાયોઓના ધાડેધાડા રોડ રસ્તા ઉપર જોવા મળી રહ્યાં છે અને અનેક લોકોને ગાયે ગંભીર રીતે ઘાયલ પણ કર્યા છે. થોડાક સમય અગાઉ કડી આદર્શ હાઇસ્કૂલના વિદ્યાર્થીને ગાયે શીંગડે ભરાવીને ઉછાળીને ઘાયલ કર્યો હતો. બાદમાં દસેક દિવસ પૂર્વે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને તિરંગા યાત્રા દરમિયાન ગાયે અડફેટે લીધા હતા અને ઇજાગ્રસ્ત પામતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
કડીમાં ગાયે અડફેટે લઇને અનેક લોકોને ઇજાઓ પહોંચાડી હતી ત્યારે હવે રહી રહીને કડી પાલિકા સફાળી જાગીને 48થી પણ વધુ ગાયોને પાંજરે પૂરી હતી. કડી પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર કલ્પેશ આચાર્ય જોડે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે કડી પાલિકા છેલ્લા ત્રણ મહિનામાં 86 ગાયોને પાંજરે પૂરીને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી હતી અને હવે 2 દિવસે ને 2 દિવસે ગાયો પકડવાની ઝુંબેશ કડી શહેરમાં ચાલશે. જે ગાયો છોડાવવા માટે આવશે તેમના પાસેથી રૂ.5000નો દંડ વસૂલવામાં આવશે.