વિજાપુર વૉર્ડ નંબર 7માં ભૂગર્ભ આડેધડ ગટર નંખાઇ
વિજાપુર ભાજપ શાસિત પાલિકા દ્વારા વૉર્ડ નમ્બર 7 પરમાર વાસ આંબેડકર ચોકમાં નાખવામાં આવેલ ભૂગર્ભ ગટર લાઈન આડેધડ નાખવામાં આવી હોવાથી ગટરોમાં ગંદુ પાણી ભરાઈ રહેતા જેના કારણે ઉદ્દભવેલ મચ્છરોના કારણે રહીશોમાં રોગચાળાનો ભય ફેલાયો છે. જે બાબતની વૉર્ડ 7 ના કોર્પોરેટર જ્યોત્સના બેન ડી પરમારે જણાવ્યું હતું આ વિસ્તારમાં પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટો નાખવા બાબતની રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ પાલિકાના તંત્ર તરફથી કોઈ કામગીરી કરવામાં આવી નથી.
જ્યારે પાણી પુરવઠા ગટર વિભાગ દ્વારા ભૂગર્ભ ગટરો નાખી છે. તે પણ આડેધડ માપ વગર ઊંચી નીચી નાખવામાં આવી છે. જેથી ગટરોમાં ગંદુ પાણી ભરાયેલું રહે છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા અહીં રોગચાળો ફેલાય તેવી શકયતા ઉભી થઇ છે તો કેટલીક જગ્યાએ તો ભૂગર્ભ ગટરો ઉપર રોડ બનાવી દેતા પુરાઈ ગઈ છે.
જેની જાણ પાલિકા શાસન કર્તાઓને કરી હોવા છતાં તેનો કોઈ ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો નથી. પાલિકા ચીફ ઓફિસરને જાણ કરતા તેઓએ પાલિકાના કર્મચારીઓને મોકલ્યા હતા. પરંતુ આ કામ ઈજનેરનું હોવાથી સમસ્યા યથાવત રહી છે. તેમ અહીંના કોર્પોરેટર જ્યોત્સના બેન પરમારે જણાવ્યું હતું. જો તેનો કોઈ ઉકેલ નહીં લવાય તો તેને લઇને આગામી સમયે લોકો પાલીકામાં ધસી આવે તે નક્કી નથી.