ધરોઇનું પાણી નંખાતું બંધ થતાં ખેરાલુનું ચિમનાબાઇ સરોવર ફરી સૂકાવાની ભીતિ
ખેરાલુના ખેડૂતોની જીવાદોરી સમાન ચિમનાબાઇ સરોવરમાં નંખાઇ રહેલું નર્મદા સહિત ધરોઇની કેનાલનું પાણી વરસાદે વિદાય લેતાં બંધ કરી દેવાયું છે. પરિણામે સતત દોઢ મહિનો પાણી નંખાવાથી 21 ફૂટે પહોંચેલું સરોવરનું લેવલ એક જ સપ્તાહમાં 1 ફૂટ ઘટીને 20 ફૂટ થઇ જતાં સરોવર ફરી સૂકાવા લાગ્યું છે.
ચિમનાબાઇ સરોવર ભરવા માટે ખેડૂતોએ આંદોલનો કર્યા હતા અને નેતાઓએ રજૂઆતો કરતાં સરકારે ચોમાસામાં નદી અને સમુદ્રમાં નકામું વહી જતું 20 ક્યુસેક પાણી લિફ્ટ કરી સરોવરમાં નાંખવાનું શરૂ કર્યું હતું. સતત દોઢ મહિના સુધી સરોવરમાં 4 નદીઓના પાણી નંખાયાં હતાં. જેમાં રૂપેણ નદીના ચોમાસું પાણીની સાથે ધરોઇનું 100 ક્યુસેક, નર્મદાનું 50 ક્યુસેક મળી 150 ક્યુસેક પાણી રસુલપુર પમ્પિંગ સ્ટેશનથી લિફ્ટ કરીને તેમજ મોકેશ્વરથી સરસ્વતીનું 50 ક્યુસેક મળી કુલ 200 ક્યુસેક પાણી સરોવરમાં નંખાઇ રહ્યું હતું.
પરિણામે ગત ૨૪મીના રિપોર્ટ અનુસાર સરોવરનું લેવલ 21 ફૂટે પહોંચ્યું હતું. સતત 70 દિવસ સરોવરમાં પાણી નંખાવાનું હતું. પરંતુ વરસાદે વહેલી વિદાય લેતાં પહેલાં મોકેશ્વરથી પછી નર્મદાનું અને છેલ્લે ધરોઇની કેનાલનું પાણી પણ બંધ કરતાં એક જ અઠવાડીયામાં સરોવરનું લેવલ 1 ફૂટ ઘટીને આજે 20 ફૂટે પહોંચી ગયું છે.
સરોવરનું 24થી 21 ફૂટનું ડેડ લેવલ જાળવી રાખવા ખેડૂતોએ અને ધારાસભ્ય અજમલજી ઠાકોરે સરકારને રજૂઆત કરેલી છે. જો માંગણી મુજબ સરોવરનું લેવલ 21 ફૂટ જાળવી રાખવામાં આવે તો સરોવરના કમાન્ડ વિસ્તારમાં આવતા 25થી 30 કિ.મી. જેટલા વિસ્તારમાં જળ રિચાર્જનો લાભ મળી શકે તેમ છે. અને જો સરોવરનું પાણી રવિ સિઝનમાં સિંચાઇ માટે આપી દેવાશે તો ઉનાળામાં ફરી સરોવર સૂકાઇ જશે તેવી ભીતિ સેવાઇ રહી છે.