![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/mahesana.jpg)
મુંબઈથી મહેસાણા આવેલું દંપતી, અમદાવાદથી આવેલા ધારપુરાખાંટના યુવકને કોરોના પૉઝિટિવ
મહેસાણા : મુંબઈમાં હીરાનો વ્યવસાય બંધ થતાં ૫ દિવસ પહેલાં મહેસાણા પુત્રના ઘરે આવેલા દંપતીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે અમદાવાદના વાસણાથી વતન ધારપુરા (ખાંટ) ગામે આવેલા યુવાનના સેમ્પલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં જિલ્લા આરોગ્ય વિભાગે ત્રણેય દર્દીઓને આઈસોલેટ કરાયા છે. આ સાથે જિલ્લામાં કેસનો આંકડો ૭૩ ઉપર પહોંચ્યો છે. મુંબઈમાં હીરાના વ્યવસાય સાથે જોડાયેલા ૪૭ વર્ષના નાનજીભાઈ મોહનભાઈ પ્રજાપતિ ધંધા-રોજગાર બંધ થતાં ગત ૧૪ મેના રોજ ૪૫ વર્ષની પત્ની જુમાબેન સાથે મહેસાણાના ઉચરપી રોડ સ્થિત સૂર્યનગરી રો-હાઉસમાં રહેતા પુત્રના ઘરે રહેવા ગયા હતા. જ્યાં તેમને આરોગ્ય વિભાગે ક્વોરન્ટાઇન કર્યા હતા. ગાઈડલાઈન મુજબ રવિવારે દંપતીના સાંઈકિષ્ણા હોસ્પિટલમાં કોરોના સેમ્પલ લેવાયાં હતાં, જેનો રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવતાં જિલ્લા આરોગ્ય વિભાગે બંનેને આઈસોલેટ કરી સમગ્ર વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરી છે. એ ડિવિઝન પોલીસે સોસાયટી વિસ્તારમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી અત્રેના બે માર્ગો પર આડશ ઊભી કરી બંધ કરી દીધા હતા.જ્યારે બહુચરાજી તાલુકાના ધારપુરા (ખાંટ) ગામના અને હાલ અમદાવાદ વાસણા સ્થાયી થયેલા ૩૫ વર્ષના કનુભા જવાનસિંહ દરબાર ૧૫ મેના રોજ તબિયત બગડતાં મહેસાણાની ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા, પરંતુ કોરોનાના લક્ષણો જણાતાં સાંઈક્રિષ્ણા હોસ્પિટલમાં મોકલતાં લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને આઇસોલેટ કરાયા હતા. મામલતદાર વી.ઓ. પટેલે આ યુવકના રૂપપુરા-કરણપુરા ગામે સંપર્ક હોવાનું ધ્યાને આવતાં આરોગ્ય તેમજ પોલીસ તંત્રને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.દંપતીના પુત્ર અને પુત્રવધૂ ક્વોરન્ટાઇન દંપતી મહેસાણા પુત્રના ઘરે આવ્યા બાદ હોમ ક્વોરન્ટાઇનમાં હોઇ અન્યના સંપર્કમાં આવ્યા નહોતા. પરંતુ ઘરમાં મોટો પુત્ર અને પુત્રવધૂ નજીકના સંપર્કમાં હોઇ બંનેના સાંઈક્રિષ્ણા હોસ્પિટલમાં મંગળવારે સેમ્પલ લેવાયાં હતાં. ૮૦૦ની વસ્તી ધરાવતો વિસ્તાર બફરઝોન મહેસાણા મામલતદારે કોરોના સંક્રમિત દંપતી રહેતું હતું તે મહેસાણાના સૂર્યનગરી રો-હાઉસમાં ૧૮૫ વસ્તી ધરાવતા ૬૦ મકાનો અને સાંઇદર્શન રેસીડેન્સીના ૫૦૮ની વસ્તી ધરાવતા ૧૪૭ મકાન મળી કુલ ૨૦૭ મકાનોના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો હતો.