![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/ઉત્તર-ગુજરાત-ને-મોટી-hed.jpg)
ઉત્તર ગુજરાત ને મોટી ભેટ; ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઇવે 55 પર 399 કરોડના ખર્ચે બનશે બે નવા બ્રિજ
જૂના-જર્જરિત પુલોના પુન: બાંધકામ – મજબૂતીકરણ અને સ્ટ્રક્ચર્સ મરામતથી રાજ્યમાં રોડ નેટવર્ક સુદ્રઢ કરવા નાણાં ફાળવણી નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નો અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદ્રઢ અને વાહન યાતાયાત માટે સરળ બનાવવા ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઇવે 55 પર બે નવા બ્રિજ નિર્માણ માટે રૂ. 399 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
રાજ્યમાં જૂના પુલોના – માર્ગોના પુનઃબાંધકામ, મજબૂતીકરણ અને સ્ટ્રક્ચર્સની મરામત હાથ ધરીને સમયાનુકૂલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે માર્ગ-મકાન વિભાગને દિશા-નિર્દેશો આપેલા છે. તદ્અનુસાર, ઉત્તર ગુજરાતમાં રાધનપુર-ચાણસ્મા રોડ – સ્ટેટ હાઇવે-55 ઉપર રાધનપુર નજીક બનાસ નદી ઉપર રૂ. 179 કરોડના અંદાજિત ખર્ચે નવો ફોર લેન બ્રિજ બનાવવા તેમણે સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. ચાણસ્માને સરહદી વિસ્તાર રાધનપુર સાથે જોડતા આ અગત્યના માર્ગ પર ગોચનાદ ગામ નજીક બનાસ નદી પર પુલ હાલ હયાત છે. આ પુલ 1965નાવર્ષમાં એટલે કે 59 વર્ષ પહેલાં નિર્માણ થયેલો છે.
આ જૂના પુલનો લાઈફસ્પાન પૂર્ણ થઈ ગયો હોઈ, તેની સામે રોડ સેફટી અને ભવિષ્યના વધતા જતા વાહન ટ્રાફિકને ધ્યાનમાં લઈને નવો ચાર માર્ગીય પુલ બનાવવાની માર્ગ-મકાન વિભાગની દરખાસ્તને મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી છે. આ નવો બ્રિજ હયાત પુલની બાજુમાં નિર્માણ પામશે તથા આ બ્રિજ બનતા હાલના ટ્રાફિક ભારણના બોટલનેક નિવારી શકાશે. અંદાજે 40 લાખ જેટલા લોકોને પરિવહનમાં સરળતા મળતી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત અન્ય એક પુલના ઉત્તર ગુજરાતમાં નિર્માણ માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ અંતર્ગત મહેસાણા-હિંમતનગર ફોર લેન સ્ટેટ હાઇવે-55 ઉપર સાબરમતી નદી પર દેરોલ ખાતે રૂ. 220 કરોડના અંદાજિત ખર્ચે નવા સિક્સલેન બ્રિજનું બાંધકામ હાથ ધરવામાં આવશે. મહેસાણાને હિંમતનગર સાથે જોડતા આ અગત્યના રસ્તા પર દેરોલ ગામ નજીક સાબરમતી નદી પર અત્યારનો જે બ્રિજ કાર્યરત છે તે 1966માં એટલે કે 58 વર્ષ પહેલાં નિર્માણ થયેલો છે. એટલું જ નહિ, હાલ દ્વિમાર્ગીય બ્રિજ હોવાના પરિણામે ટ્રાફિકજામની વાહન વ્યવહાર પર અસર પડે છે.