![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/Rakhewal-349.jpg)
મહેસાણા શહેરમાં બે વર્ષ બાદ નવરાત્રીમાં મંડપ ડેકોરેશનમાં રૂ.બે કરોડથી વધુનો કારોબાર થશે
કોરોનાના બે વર્ષ પછી આ વર્ષે નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા સુધી રાસ-ગરબાની છૂટ આપવામાં આવતાં ખેલૈયાઓમાં ઉત્સાહ વધ્યો છે. આ વર્ષે મહેસાણા શહેરમાં મોટાભાગની સોસાયટીઓમાં નવરાત્રીના આયોજન માટે કોમન પ્લોટોમાં મંડપ ડેકોરેશન કરાઇ રહ્યાં છે. જેને લઇ મંડપ ડેકોરેટર્સ અને કામદારો માટે બે વર્ષ પછી નવરાત્રી તેજી લઇને આવી છે. શહેરમાં નવરાત્રી દરમિયાન મંડપ ડેકોરેશનમાં બે કરોડ રૂપિયાથી વધુનો કારોબાર થશે. એમાંયે વરસાદમાં ખલેલ ન પડે તે માટે કેટલાક મંડળોમાં વોટરપ્રુફ મંડપ બાંધવાનું આયોજન કર્યું છે.
મહેસાણા શહેર મંડપ ડેકોરેશન એસો.ના બાબુભાઇ ચૌધરીએ કહ્યું કે, આ નવરાત્રીમાં મંડપ ડેકોરેશનનું સારું બુકિંગ છે. શહેરમાં નાના-મોટા 180 જેટલા મંડપવાળા છે. બે વર્ષ પછી ઓર્ડર સારા રહ્યા છે. નવરાત્રી પછી નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નસરાનાં બુકિંગ પણ સારા રહેશે. હાલ તો મંડપ ડેકોરેશનમાં પ્રતિ ફૂટ રૂ.3 લેખે ઓર્ડર બુક કરાયા છે.
મંડપ ડેકોરેશન સંચાલક ભીખાભાઇ પટેલે કહ્યું કે, નોરતાના બુકિંગ સારાં છે. ઘણી સોસાયટીઓમાં મંડપ સજાવટ કરી લેવાઇ છે. સાઉન્ડ સિસ્ટમ, રંગબેરંગી લાઇટની સિરિઝ સાથે મંડપ ડેકોરેશનના ઓર્ડર છે. લગ્નસરામાં મંડપ ડેકોરેશનમાં 30% ભાવ વધારાની અસર આવશે તેમ મંડપ સંચાલકોએ જણાવ્યું હતું.