![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/11/safe_image-1-2-1.jpg)
કડી નજીકની કેનાલમાં મહિલાની પ્રેમી અને પુત્ર સાથે મોતની છલાંગ
કડી નજીકની કેનાલમાંથી ગત દિવસોએ યુવક-યુવતિ સહિત એક નવ વર્ષિય બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાબતે ગાંધીનગર તાલુકાના ખોરજ ગામના યુવકે તેની પત્નિ અને પ્રેમી સામે તેમના બાળકની હત્યા મામલે ફરીયાદ નોંધાવતાં ચકચાર મચી ગઇ છે. મહિલાએ લગ્નજીવનના છ વર્ષ બાદ તેના પુત્ર અને પ્રેમીની સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતુ. ફરીયાદમાં જણાવ્યા મુજબ મૃતક મહિલા અને પુરૂષને પ્રેમસંબંધ હોવાથી તેમને ફરીયાદીના દીકરાને પાણીમાં નાંખી અને પોતે પણ કેનાલમાં કુદી આત્મહત્યા કરી હોવાનું જણાવ્યુ છે. ઘટનાને લઇ કડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર તાલુકાના ખોરજ ગામે રણજીતજી ઉર્ફે રાહુલજી રૂમાલજી ઠાકોર (૨૬) ડ્રાઇવિંગનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ ૨૦૧૪ માં તેના લગ્ન અમદાવાદના ચાંદલોડીયાના ઠાકોર રમેશજી બુધાજીની દીકરી કોમલ સાથે થયા હતા. જે બાદમાં ગત દિવસોએ કોમલ તેના પુત્રને લઇ ઘરેથી દવાખાને જવાનું કહી નીકળી ગયા બાદ ગુમ થઇ હતી. આ દરમ્યાન ફરીયાદી અને કોમલના પરિવારે તેની શોધખોળ હાથ ધરતાં કડીના બલાસર બ્રિજ ઉપરની કેનાલમાંથી કોમલ-રાકેશ અને ફરીયાદીના દીકરાની લાશ મળી આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, રણજીતજીએ ફરીયાદમાં લખાવ્યા મુજબ તેમને પાછળથી ખબર પડી હતી કે, તેમની પત્નિ કોમલને રાકેશજી ઉર્ફે મોન્ટુ કેશાજી ઠાકોર સાથે પ્રેમસંબંધ છે. જેને લઇ બંનેએ ભેગા મળી કેનાલમાં પડી પોતે આપઘાત કરી અને ફરીયાદીના પુત્રને પણ પાણીમાં નાંખી ડુબી જતાં મોત નિપજાવી ખુન કરેલ હોવાની ફરીયાદ નોંધાવતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે બંને સામે આઇપીસીની કલમ ૩૦૨,૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.