![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/ઊંઝા-ગંગાપુરા-રોડ-hed.jpg)
ઊંઝા ગંગાપુરા રોડ પર આવેલ તમાકુની વખારમાંથી ૨૧૦ બોરીની ચોરી
કુલ રૂપિયા ૩.૬૬ લાખના મુદ્દામાલની ઉઠાંતરી : ઊંઝા શહેરમાં આવેલ રામપુરા ગંગાપુરા રોડ ઉપર આવેલ કનુભાઈ કચરાભાઈ પટેલના નામની તમાકુ સ્ટોક કરવાની વખારમાં તસ્કરો ત્રાટકી વખારમાં પ્રવેશ કરી તમાકુની બોરીઓ નંગ ૨૧૦ કિંમત રૂપિયા ૩,૬૬,૮૦૦ ની મત્તાની ચોરી કરી લઈ જતાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. વિગતો અનુસાર ઊંઝા જૂના રામપુરા ખાતે આવેલ શંકરનગર સોસાયટીમાં રહેતા અર્જુનભાઈ કનુભાઈ પટેલ તમાકુનો વેપાર કરે છે. જેઓએ ગંગાપુરા રોડ પર આવેલ કનુભાઈ કચરાભાઈ પટેલની વખારમાં પોતાની તમાકુ રાખેલ હતી.
આ વખારમાં ગઇ તા.૫ જુલાઈ ૨૦૨૪ થી ૬ જુલાઈ ૨૦૨૪ ની રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમો આવી તમાકુની બંધ વખારનો લોખંડનો દરવાજો તોડી વખારની અંદર પ્રવેશ કરી વખારમાંથી તમાકુની આશરે ૨૫ કિલો વજનની બોરીઓ નંગ ૨૧૦ જેનું કુલ વજન ૨૬૨ મણ જે એક મણની કિમંત રૂપિયા ૧૪૦૦ લેખે ૧ મણ તમાકુની કુલ કિંમત રૂપિયા ૩,૬૬,૮૦૦ ની મત્તાની ચોરી કરી એકબીજાની મદદગારી કરી લઈ જતાં અર્જુનભાઈએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.