મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને ભેળસેળયુક્ત પનીર બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. તહેવારોના દિવસો નજીક હોવાથી ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળને અટકાવવા માટે ફૂડ વિભાગ સક્રિય બન્યું છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગના અધિકારીઓને વિજાપુર-હિંમતનગર હાઇવે પર આવેલા વેરહાઉસમાં આવેલી ‘ડિવાઇન ફૂડ’ નામની કંપનીમાં શંકાસ્પદ પનીર બનાવવામાં આવતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આ ફેક્ટરીમાં પનીર બનાવવા માટે પામોલિન તેલનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત, પનીરમાં ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડનો એસિડિક એસિડ પણ વાપરવામાં આવતો હોવાની શંકા અધિકારીઓને ગઈ હતી. આ ગંભીર ભેળસેળની જાણ થતાં જ ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ફૂડ વિભાગની ટીમે ફેક્ટરીમાંથી 649 કિલો પનીરનો જથ્થો, જેની કિંમત ₹1,60,800 છે, તે જપ્ત કર્યો હતો. સાથે જ, પનીર બનાવવામાં વપરાતું 238 કિલો પામ તેલ પણ જપ્ત કરવામાં આવ્યું, જેની કિંમત ₹32,130 છે. આમ, ફૂડ વિભાગે કુલ 1,61,930નો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ તહેવારોના સમયે ખાદ્ય સુરક્ષા અંગે ચિંતા ઊભી કરી છે, અને સત્તાવાળાઓ દ્વારા વધુ સઘન તપાસ ચાલી રહી છે.


