બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી, મિટિંગ હોલ, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્યઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો. તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં આરોગ્ય, ખાણ ખનીજ, જમીન, પાણી, શિક્ષણ, વીજળી, રોડ રસ્તા બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા/તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું.
બેઠકના અધ્યક્ષ વ કલેકટરએ જણાવ્યું હતું કે, જિલ્લાના નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ પહોંચે તથા તમામ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી છે. બેઠકમાં નવીન આંગણવાડી બનાવવા, ટ્રાફિક સમસ્યાનું નિવારણ, નવીન બસ સ્ટેશન બનાવવા, લઘુ સિંચાઈ અંતર્ગત આવતા સુજલામ સુફલામ જળ યોજનાના કામો, મનરેગાના કામો, શિક્ષણને લગતા પ્રશ્નો, ખાણ અને ખનીજ વિભાગને લગતા પ્રશ્નો, વન અધિકાર અધિનિયમ અંતર્ગત કેટલા દાવા પેન્ડિંગ છે તેનો યોગ્ય ઉકેલ લાવવો. તેમજ ચોમાસાની સિઝનમાં જ્યાં પણ રોડ પર ખાડા પડ્યા છે અને બ્રિજના છેડે ખાડા પડ્યા હોય તો ત્યાં પ્રોટેક્શન વોલ બનાવવા સહિત અધ્યક્ષસ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયા હતા.

