પ્રારંભિક તબક્કે જિલ્લામાં 25,000થી વધુ લોકો સોસ કુવા બનાવવા માટે તૈયાર:-અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ્ તથા ‘Catch The Rain’ અભિયાન અંતર્ગત આજરોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી ચોમાસા પહેલા જિલ્લામાં વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે કરી શકાય તે માટે આ બેઠકમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના ઉપસ્થિતિમાં વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રવ્યાપી ‘Catch The Rain’ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય માટે સૌકોઈ સાથે મળીને કામ કરીએ. પાણીનો સંગ્રહ કરીએ, લોક જાગૃતિ વધારવા કામ કરીએ. ખેતરનું પાણી ખેતરમાં તથા ગામનું પાણી ગામમાં જ રહે તે મુજબ માઇક્રોલેવલનું કામ કરવા અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું. અધ્યક્ષએ જણાવ્યું કે, પ્રારંભિક તબક્કે જિલ્લામાં 25,000થી વધુ લોકો સોસ કુવા બનાવવા માટે તૈયાર થયા છે. જિલ્લા વહીવટી તંત્ર, બનાસ ડેરી અને લોકભાગીદારી થકી જિલ્લામાં સોસ કૂવા નિર્માણ કાર્યનો શુભારંભ કરાયો છે. આ કાર્યમાં 50 ટકા રકમ બનાસ ડેરી દ્વારા ફાળવવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળના તળને ઊંચા લાવવા માટે સોસ કૂવા બનાવવા, તળાવો ઊંડા કરવા, ચેકડેમ બનાવવા, નવીન ટ્યુબવેલ બનાવવા, બોર અને કુવા રિચાર્જ કરવા માટે સહિયારા પ્રયત્નો હાથ ધરાયા છે. દરેક તાલુકામાં ખેડૂતોની બેઠક થાય અને જાગૃતિ ફેલાય તે જરૂરી છે. જન પ્રતિનિધિઓ, અધિકારીઓ આ અભિયાનને વેગવંતુ બનાવે તે જરૂરી છે.